દિલ્હી: ભારતના સાંસ્કૃતિક વારસાને વિશ્વ સમક્ષ રજૂ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અભૂતપૂર્વ પ્રોજેક્ટ 'યુગે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય' શરૂ કરવામાં આવ્યો છે. આ મ્યુઝિયમ દિલ્હીના કેન્દ્રીય વિસ્તારમાં હાલના નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં વિકસાવવામાં આવી રહ્યું છે, જે સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ભાગ છે. 1.55 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ મ્યુઝિયમ પૂર્ણ થતાં દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ બની જશે, જે પેરિસના લૂવ્ર મ્યુઝિયમને પાછળ છોડી દેશે. આ પ્રોજેક્ટ ભારતના 5000 વર્ષથી વધુના ઈતિહાસ, સંસ્કૃતિ અને સભ્યતાને 8 થીમેટિક સેક્શનમાં વિભાજિત કરીને ઈમર્સિવ અનુભવ આપશે, જેમાં 30 ઈમર્સિવ ગેલેરી અને 25,000થી વધુ કલાકૃતિઓનો સમાવેશ થશે. ફ્રાન્સના મ્યુઝિયમ એક્સપર્ટ્સ સાથેના સહયોગમાં વિકસાવવામાં આવી રહેલા આ મ્યુઝિયમનો પહેલો ફેઝ જૂન 2026 સુધીમાં પૂર્ણ થશે, જ્યારે બાકીના ફેઝ મંત્રાલયોના શિફ્ટિંગ પછી ચાલુ રહેશે. રૂ.2,700 કરોડના બજેટ સાથે આ પ્રોજેક્ટ ભારતની કલ્ચરલ સોફ્ટ પાવરને મજબૂત કરશે અને વાર્ષિક 1 કરોડ પ્રવાસીઓને આકર્ષિત કરશે. આવો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની વિગતો, ખાસિયતો અને ફાયદાઓ વિશે વિસ્તારથી જાણીએ.
ખાસિયતો
યુગે યુગીન ભારત રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીના કેન્દ્રીય વિસ્તારમાં હાલના નોર્થ બ્લોક અને સાઉથ બ્લોકમાં વિકસાવવામાં આવી રહ્યું છે. આ બિલ્ડિંગ્સને એડેપ્ટિવ રીયુઝ (adaptive reuse) દ્વારા મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે, જેથી તેમનો ઐતિહાસિક મહત્વ જળવાઈ રહે. જેની ખાસિયતો નીચે જણાવ્યા પ્રમાણે છે.
1.55 લાખ ચોરસ મીટર વિસ્તાર અને 8 થીમેટિક સેક્શન
વિસ્તાર: 1.55 લાખ ચોરસ મીટર (લગભગ 1.17 લાખ ચોરસ મીટર બિલ્ડિંગ સ્પેસ)
રૂમ અને સેક્શન: 95 રૂમ, 8 થીમેટિક સેક્શન (પ્રાચીનથી આધુનિક ભારત સુધી)
ગેલેરી: 30 ઈમર્સિવ ગેલેરી
કલાકૃતિઓ: 25,000થી વધુ કલાકૃતિઓ અને આર્ટિફેક્ટ્સ
ડિઝાઇન: ફ્રાન્સના મ્યુઝિયમ એક્સપર્ટ્સ (France Museums Développement) સાથે સહયોગ, લૂવ્ર જેવી આધુનિક ટેક્નોલોજી અને ડિઝાઇન
શરૂઆત અને ટાઈમલાઈન અને બજેટ
આ પ્રોજેક્ટ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવી રહ્યો છે. ફ્રાન્સ મ્યુઝિયમ્સ ડેવલપમેન્ટ (FMD) સાથે MoU સાઈન થયું છે, જે લૂવ્ર અને અન્ય ફ્રેન્ચ મ્યુઝિયમ્સના અનુભવનો લાભ આપશે. પ્રોજેક્ટને ફેઝમાં વહેંચવામાં આવ્યો છે. ફેઝ-1માં નોર્થ બ્લોકને મ્યુઝિયમમાં ફેરવવામાં આવશે, જે જૂન 2026 સુધીમાં પૂર્ણ થશે. પહેલી ગેલેરી 2026ના અંત સુધીમાં ખુલશે. ફેઝ-2 સાઉથ બ્લોકના શિફ્ટિંગ પછી ચાલુ રહેશે. આ મ્યુઝિયમ માટે કુલ રૂ.2,700 કરોડનું બજેટ છે, જેમાં રિનોવેશન, ડિઝાઇન, કલેક્શન અને ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.
આપણને શું ફાયદો?
શિક્ષણ અને જ્ઞાન: વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રવાસીઓને ભારતના 5000 વર્ષના ઈતિહાસનું વિઝ્યુઅલ અને ઈમર્સિવ અનુભવ મળશે.
પર્યટન અને અર્થતંત્ર: વાર્ષિક 1 કરોડ પ્રવાસીઓની અપેક્ષા, જેનાથી હોસ્પિટાલિટી, ટૂરિઝમ અને સર્વિસ સેક્ટરમાં રોજગારી વધશે.
સાંસ્કૃતિક સોફ્ટ પાવર: ભારતની કલ્ચરલ ઈમેજ મજબૂત થશે, વિદેશી પ્રતિનિધિમંડળો અને પ્રવાસીઓને ભારતની વિરાસત સમજવામાં મદદ મળશે.
ડિપ્લોમેસી: ભારત-ફ્રાન્સ સંબંધો મજબૂત થશે, ભારતની ગ્લોબલ ઈમેજમાં વધારો થશે.
આ મ્યુઝિયમ ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિને એક છત્રી નીચે લાવીને વિશ્વને બતાવશે, જે દેશની સાંસ્કૃતિક શક્તિને નવી ઊંચાઈ આપશે





















