જ્યારે આખું વિશ્વ 31 મેના રોજ "વિશ્વ તમાકુ નિષેધ દિવસ"ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી સામે આવી રહેલી ચોંકાવનારી આંકડા અને તબીબી હકીકતો ચિંતા ઊભી કરે છે. જાણીતા કેન્સર નિષ્ણાતો અનુસાર, દર વર્ષે સૌરાષ્ટ્રમાં અંદાજે 5000 નવા કેન્સરના કેસ નોંધાય છે, જેમાંથી લગભગ 90% કેસ તમાકુના વ્યસનથી થતાં હોય છે.
બાળ્યાવસ્થા થી જ તમાકુનું વ્યસન
તબીબો મુજબ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માત્ર 11-12 વર્ષની ઉંમરે જ બાળકો તમાકુ, ગુટખા અને માવું સેવન કરવાનું શરૂ કરે છે. પરિણામે, 18થી 25 વર્ષની ઉંમરમાં જ યુવાનો કેન્સર જેવા જીવલેણ રોગના શિકાર બની જાય છે. રાજકોટના કેન્સર નિષ્ણાત જણાવે છે કે, પાન મસાલા અને તમાકુના વધતા વપરાશથી મો, જીભ, ગળો, જડબાં, ફેફસા અને અન્નનળીના કેન્સરના કેસ વધ્યા છે.
મહિલાઓ પણ આ વ્યસનથી બાકી નથી
આ પહેલા માનવામાં આવતું કે તમાકુનું વ્યસન માત્ર પુરૂષોમાં જ વધુ જોવા મળે છે, પરંતુ તબીબો જણાવે છે કે હવે મહિલાઓમાં પણ મો અને ગળાના કેન્સરના કેસ નોંધાઈ રહ્યા છે. આજે સ્થિતિ એવી છે કે સ્તન કેન્સર જેવો રોગ હવે 50 પછી નહીં, પણ 25થી 30 વર્ષની ઉંમરની મહિલાઓમાં પણ જોવા મળી રહ્યો છે.
સ્મોકિંગ અને ગુટખા – બંને જીવલેણ
ઓન્કો સર્જને જણાવ્યુ કે, ઘણા લોકો ખોટી માન્યતા પાળે છે કે ‘સાદી સુપારી’ કે ‘સાદો ગુટખો’ હાનિકારક નથી. પરંતુ તેમાં રહેલા રાસાયણિક ઘટકો – જેમ કે ટાર, કાર્બન મોનોઑક્સાઈડ, નિકોટીન – ચરમ પાટક રોગોનું કારણ બને છે. તેઓ જણાવી રહ્યા છે કે, 5-7 વર્ષ તમાકુ સેવન કર્યા બાદ કેન્સર થવાનું જોખમ અત્યંત વધે છે.
વિશિષ્ટ ચેતવણી ચિહ્નો – વહેલાં ચકાસણી ખૂબ જ જરૂરી
તબીબો જણાવી રહ્યા છે કે, કેન્સર તાત્કાલિક ન થઈ જાય, તે પહેલાં શરીર ચેતવણીના સંકેતો આપે છે. જેમ કે:
ન રુઝાતું ચાંદું
અવાજ ઘોઘરો થવો
ગળામાં અથવા શરીરમાં ગાંઠ
અતિરેક રક્તસ્ત્રાવ
કબજિયાત
તલ/મશાના કદમાં વધારો
ખોરાક ઉતારવામાં તકલીફ
મો ન ખુલવું
આવા લક્ષણો જણાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
યુવાધન કેન્સરના ભયમાં
આજની કાળજીજનક સ્થિતિ એ છે કે, કુલ કેન્સર દર્દીઓમાં 20થી 25% યુવાનો છે, અને હવે 20-21 વર્ષની ઉંમરનાં યુવાનોમાં પણ કેન્સર જોવા મળવા લાગ્યું છે. જેના માટે મુખ્યત્વે બાળપણથી શરૂ થયેલું તમાકુ સેવન જવાબદાર છે.




















