UP election: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિતેલા દિવસે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોંચ્યા હતા. તેઓ કાંશીરામની જયંતી નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થયા. રાહુલ ગાંધીએ દલિત સમુદાયને રીઝવવા માટે આ પગલું ભર્યું હતું, પરંતુ આ દાવ તેમને ભારે પડ્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.
રાજકારણમાં એક કહેવત છે કે સંસદનો રસ્તો યુપી-બિહાર થઈને જાય છે. તેથી આ બંને રાજ્યોની ચૂંટણીઓ રાજકીય વર્તુળોમાં સૌથી મહત્વની માનવામાં આવે છે. બિહાર બાદ હવે આવતા વર્ષે યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, જેને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે, કોંગ્રેસનો પ્રથમ દાવ ઉલટો પડ્યો હોય તેમ જણાય છે. રાહુલ ગાંધીએ દલિત વોટ બેંકને પોતાની તરફ ખેંચવા માટે કાંશીરામ જયંતીના કાર્યક્રમમાં હાજરી આપી હતી, પરંતુ તેનાથી વિવાદ સર્જાયો છે.
માયાવતીનો આકરો પ્રહાર
રાહુલ ગાંધીની આ મુલાકાત બાદ દલિત સમાજના સૌથી મોટા નેતા અને બસપા સુપ્રીમો માયાવતીએ તેમને નિશાન બનાવ્યા હતા. માયાવતીએ જણાવ્યું કે, "આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેણે કેન્દ્રમાં પોતાની સત્તા હોવા છતાં કાંશીરામજીના નિધન પર એક દિવસનો પણ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો નહોતો, તેમજ તે સમયે યુપીની સપા (SP) સરકારે પણ રાજકીય શોક જાહેર કર્યો નહોતો." માયાવતીના આ નિવેદનને કોંગ્રેસ માટે મોટા ઝટકા તરીકે જોવામાં આવી રહ્યું છે.
માયાવતીએ માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ અન્ય પક્ષો પર પણ નિશાન સાધતા કહ્યું કે, બીજી પાર્ટીઓના હાથા બનીને દલિત સમાજના અનેક સંગઠનો અને પાર્ટીઓ કાંશીરામના નામે રાજકીય રોટલા શેકવાની કોશિશમાં લાગેલી રહે છે.
ઇતિહાસનો ઉલ્લેખ કરીને કર્યા સવાલો
ઇતિહાસનો ઉલ્લેખ કરતા માયાવતીએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, "એ સર્વવિદિત છે કે કોંગ્રેસ પાર્ટીએ લાંબા વર્ષો સુધી કેન્દ્રની સત્તામાં રહીને બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનું ક્યારેય સન્માન કર્યું નથી અને તેમને 'ભારતરત્ન'ની ઉપાધિથી પણ નવાજ્યા નહોતા. તો પછી આ પાર્ટી હવે કાંશીરામને આ ઉપાધિથી કેવી રીતે સન્માનિત કરી શકે?"




















