Who is Indian sports broadcaster Ridhima Pathak: ભારતીય સ્પોર્ટ્સ જગતમાં અત્યારે એક જ નામ ચર્ચામાં છે, અને તે છે જાણીતા બ્રોડકાસ્ટર રિદ્ધિમા પાઠક. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા ક્રિકેટ વિવાદમાં રિદ્ધિમાએ એક મોટો નિર્ણય લીધો છે. તેમણે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માંથી રાજીનામું આપીને સ્પષ્ટ કર્યું છે કે, તેમના માટે વ્યાવસાયિક કરાર કરતાં રાષ્ટ્રવાદ વધુ મહત્વનો છે.
જાતે લીધો નિર્ણય કે પછી કોઈએ કાઢ્યા?
છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં રિપોર્ટસ આવતા હતા કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ રિદ્ધિમા પાઠકને બ્રોડકાસ્ટિંગ પેનલમાંથી હટાવી દીધા છે. જોકે, રિદ્ધિમાએ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા જણાવ્યું છે કે, તેમને કોઈએ દૂર કર્યા નથી, પરંતુ તેમણે પોતે જ વ્યક્તિગત રીતે આ લીગમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.
રિદ્ધિમા પાઠકની સ્પષ્ટતા
પોતાના ઓફિશિયલ નિવેદનમાં રિદ્ધિમાએ ખૂબ જ ગંભીર અને પ્રેરણાદાયી વાત કહી છે. તેમણે જણાવ્યું કે, "છેલ્લા કેટલાક કલાકોથી, એક વાર્તા ફેલાઈ રહી છે કે, મને BPL માંથી 'ડ્રોપ કરી નાખવામાં' આવી છે. આ સાચું નથી. મેં વ્યક્તિગત રીતે ખસી જવાનો નિર્ણય લીધો છે. મારા માટે, મારો દેશ હંમેશા પહેલા આવે છે. અને હું ક્રિકેટને કોઈપણ એક કાર્ય કરતાં ઘણું ઉપર માનું છું. મને વર્ષોથી પ્રામાણિકતા, આદર અને જુસ્સા સાથે રમતની સેવા કરવાનો લાભ મળ્યો છે. આ ક્યારેય બદલાશે નહીં. હું પ્રામાણિકતા, સ્પષ્ટતા અને રમતની ભાવના સાથે ઉભી રહીશ." આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર ફેન્સ તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
કોણ છે રિદ્ધિમા પાઠક?
રિદ્ધિમા પાઠક ભારતીય સ્પોર્ટ્સ બ્રોડકાસ્ટિંગનું જાણીતું નામ છે. તેમનો જન્મ 17 ફેબ્રુઆરી 1990 ના રિદ્ધિમાનો જન્મ 17 ફેબ્રુઆરી, 1990 ના રોજ ઝારખંડની રાજધાની રાંચીમાં થયો હતો. વ્યવસાયે, તે એક મોડલ, અભિનેત્રી, વોઈસ આર્ટિસ્ટ, ટીવી પ્રેઝેન્ટર અને એન્કર છે. રિદ્ધિમાએ પોતાની કારકિર્દીની શરૂઆત રેડિયો સ્ટેશનમાં ઇન્ટર્નશિપથી કરી હતી. તેમણે Star Sports, Ten Sports, Sony અને Jio પર અનેક સ્પોર્ટ્સ ઈવેન્ટને રજૂ કર્યા છે. ટોક્યો ઓલિમ્પિક દરમિયાન રિદ્ધિમાને ખાસ ઓળખ મળી. રિદ્ધિમાએ ઘણા મોટા સ્ટાર ક્રિકેટરોના ઇન્ટરવ્યુ લીધા છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વધતો તણાવ
આ સમગ્ર વિવાદની પાછળ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધોમાં આવેલી કડવાશ જવાબદાર છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે થઈ રહેલી હિંસાના વિરોધમાં ભારતમાં બાંગ્લાદેશી ખેલાડીઓનો વિરોધ થયો હતો. ખાસ કરીને IPL 2026 ના મિની-ઓક્શનમાં મુસ્તફિઝુર રહેમાનની પસંદગી મુદ્દે ભારે વિવાદ થયો, જેના કારણે BCCI એ કડક પગલાં લેવા પડ્યા હતા.
ICC નો કડક વલણ અને ટેલિકાસ્ટ બેન
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાના કારણો આપીને T20 વર્લ્ડ કપની મેચો ભારતની બહાર ખસેડવાની માંગ કરી હતી, જેને ICC એ સ્પષ્ટપણે નકારી કાઢી છે. અને સાથે જ બાંગ્લાદેશે પોતાના દેશમાં IPL ના ટેલિકાસ્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. આ રાજકીય અને ખેલ જગતના તણાવ વચ્ચે રિદ્ધિમા પાઠકનો BPL છોડવાનો નિર્ણય આવ્યો છે.





















