Priyanka Gandhi Vadra: ગુરુવારે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો. તેમણે માર્ગ પરિવહન મંત્રીને જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી અપોઇન્ટમેન્ટ માંગી રહ્યા હતા, પરંતુ સફળતા મળી ન હતી. ત્યારબાદ ગડકરીએ તેમને ગમે ત્યારે મળવા આવવા કહ્યું.
કેરળના વાયનાડથી લોકસભા સભ્ય પ્રિયંકા ગાંધીએ પ્રશ્નકાળ દરમિયાન ચંદીગઢ-શિમલા હાઇવે અંગે પૂરક પ્રશ્ન પૂછતી વખતે આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ ગયા જૂનથી તેમના મતવિસ્તારના મુદ્દાઓને ઉકેલવા માટે ગડકરી સાથે મુલાકાતનો સમય માંગી રહ્યા હતા.
તેમણે કહ્યું, "હું જૂન મહિનાથી મીટિંગ માટે કહી રહી છું. કૃપા કરીને મને સમય આપો." ગડકરીએ જવાબ આપ્યો, "પ્રશ્નકાળ પછી આવો. તમે ગમે ત્યારે આવી શકો છો; દરવાજો હંમેશા ખુલ્લો છે. કોઈ અપોઇન્ટમેન્ટની જરૂર નથી."
બાંધકામની ગતિ વધારીને દરરોજ 60 કિલોમીટર કરવાનો છે લક્ષ્યાંક
ગડકરીએ બુધવારે જણાવ્યું હતું કે સરકાર દેશમાં હાઇવે બાંધકામની ગતિ વધારીને દરરોજ 60 કિમી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. એક ઇંટરવ્યૂમાં ગડકરીએ કહ્યું કે કેન્દ્રના મુખ્ય ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ કોઈ નવા પ્રોજેક્ટ શરૂ ન થવાને કારણે દેશમાં હાઇવે બાંધકામની ગતિ ધીમી પડી ગઈ છે.
મંત્રીએ એમ પણ કહ્યું કે સરકાર આગામી 8-10 વર્ષમાં ભારતના ઓટોમોબાઈલ ઉદ્યોગને વિશ્વના ટોચના ઓટોમોબાઈલ ઉદ્યોગોમાં સ્થાન આપવાનું લક્ષ્ય રાખે છે. હાલમાં, યુએસ ઓટોમોબાઈલ ઉદ્યોગનું કદ ₹78 લાખ કરોડ છે, ત્યારબાદ ચીન (₹47 લાખ કરોડ) અને ભારત (₹22 લાખ કરોડ) આવે છે. મંત્રીએ કહ્યું કે ભારતના GDP વૃદ્ધિને વેગ આપવા માટે, કૃષિ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.





















