CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના તાજા બજેટ અને વિકાસકાર્યો અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મીડિયાને માહિતી આપતાં જણાવ્યું કે મુખ્યમંત્રીએ આજની કેબિનેટમાં નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રીને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. બજેટમાં 10 ટકા વધારો કરવામાં આવ્યો છે, જેને તેમણે ઐતિહાસિક ગણાવ્યો. ઓછી આવકની પરિસ્થિતિમાં પણ 10 ટકાનો વધારો કેવી રીતે શક્ય બન્યો તેની ચર્ચા વિશેષજ્ઞો કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું.
આ બજેટમાં SC, ST અને OBC વર્ગોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું
મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, GSTમાં મળેલી રાહતથી સામાન્ય નાગરિકોને પણ સીધી રાહત મળી છે. આ બજેટમાં SC, ST અને OBC વર્ગોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. બેઠક દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની તુલનાત્મક સમીક્ષા પણ કરવામાં આવી હતી અને આવનારા સમયમાં મુખ્યમંત્રી પોતે ફરી સમીક્ષા કરશે તેવી જાહેરાત કરવામાં આવી.
'બજેટ પૂર્ણ થતાં જ કામ શરૂ કરી દેવામાં આવે તેવી CMએ સૂચના આપી'
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી છે કે, બજેટ ગૃહમાં રજૂ થઈ ચૂક્યું હોવાથી તંત્રે વહીવટી પ્રક્રિયાની તાત્કાલિક તૈયારીઓ શરૂ કરી દેવી. બજેટ પૂર્ણ થતાં જ કામ શરૂ કરી દેવામાં આવે અને 15 દિવસની અંદર રેવન્યુ જમીનથી માંડીને જરૂરી તમામ મંજૂરીઓ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે. બજેટની જોગવાઈઓનું કામ દિવાળી પહેલાં શરૂ થઈ જાય તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે. આજની બેઠકમાં ટેકાના ભાવે ખરીદી 23 ફેબ્રુઆરીથી શરૂ કરવાનો પણ નિર્ણય લેવાયો છે. સાથે જ કેન્દ્ર સરકારની યોજનાઓમાં કોઈ બાબત રહી ન જાય તેની તુલનાત્મક સમીક્ષા કરીને ક્ષતિ ન રહે તે માટે પણ મુખ્યમંત્રીએ તંત્રને માર્ગદર્શન આપ્યું છે.




















