આજના સમયમાં શુદ્ધ પાણી માટે દરેક ઘરમાં વોટર પ્યુરીફાયર (RO) એક અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે. જોકે, મોટાભાગના લોકો એકવાર RO લગાવ્યા પછી વર્ષો સુધી તેને બદલવાનું વિચારતા નથી. નિષ્ણાતોના મતે, સમયસીમા વીતી ગઈ હોય તેવું પ્યુરીફાયર પાણીને શુદ્ધ કરવાને બદલે તેમાં બેક્ટેરિયા અને હાનિકારક કેમિકલ્સ વધારી શકે છે. જો તમારા પ્યુરીફાયરમાં પણ નીચે મુજબના લક્ષણો દેખાય, તો સ્વાસ્થ્યની સુરક્ષા માટે તેને બદલવામાં જ સમજદારી છે.
પાણીનો સ્વાદ બગડવો અને દુર્ગંધ આવવી
જો તમને પીવાના પાણીનો સ્વાદ કડવો કે અજીબ લાગે અથવા તેમાંથી માટી જેવી ગંધ આવતી હોય, તો તે ગંભીર સંકેત છે. આનો અર્થ એ છે કે તમારા પ્યુરીફાયરના કાર્બન ફિલ્ટર અને Membrane હવે કાર્યક્ષમ રહ્યા નથી. જ્યારે ફિલ્ટર પાણીમાંથી ક્લોરિન અને અન્ય અશુદ્ધિઓ શોષવાનું બંધ કરી દે છે, ત્યારે પાણીનો સ્વાદ અને સુગંધ બદલાઈ જાય છે.
પાણીના ફ્લોમાં ઘટાડો થવો
ઘણીવાર નળમાંથી પાણી આવવાની ગતિ ધીમી પડી જાય છે. આ સ્થિતિ ફિલ્ટર સંપૂર્ણપણે ચોકઅપ થઈ ગયા હોવાનું સૂચવે છે. પાણીમાં રહેલી ગંદકી ફિલ્ટરની ઝીણી જાળીઓમાં જમા થઈ જાય છે, જેના કારણે પ્રેશર ઘટી જાય છે. જો સર્વિસ કરાવ્યા પછી પણ પાણીનો પ્રવાહ યોગ્ય ન થાય, તો નવી મશીન લેવાનો સમય આવી ગયો છે.
TDS લેવલમાં સતત વધારો
વોટર પ્યુરીફાયરનું મુખ્ય કામ પાણીમાં રહેલા ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ્સ (TDS) ને નિયંત્રિત કરવાનું છે. ડિજિટલ TDS મીટરથી ચેક કરતા જો લેવલ 50 થી 150 ની વચ્ચે ન આવતું હોય અને વારંવાર ફિલ્ટર બદલવા છતાં પણ TDS વધારે જ રહેતો હોય, તો સમજવું કે સિસ્ટમની આંતરિક મશીનરી હવે નકામી થઈ ગઈ છે.
પાણીમાં અસ્પષ્ટતા કે કણો દેખાવા
શુદ્ધ પાણી હંમેશા કાચ જેવું પારદર્શક હોવું જોઈએ. જો ગ્લાસમાં ભરેલું પાણી સહેજ પીળાશ પડતું, ડહોળું કે તેમાં નાના કણો તરતા દેખાય, તો તે ખતરાની ઘંટડી છે. આનો અર્થ એ છે કે પ્યુરીફાયર હવે પાણીને બારીક સ્તરે ફિલ્ટર કરી શકતું નથી. આવું પાણી પીવાથી પેટની બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.
વારંવાર રિપેરિંગ અને જૂની મશીનરી
જો તમારે દર બીજા મહિને મેકેનિકને બોલાવવો પડતો હોય અને રિપેરિંગનો ખર્ચ નવા પ્યુરીફાયરના હપ્તા (EMI) કરતા વધી જતો હોય, તો જૂના RO ને વિદાય આપવી જ હિતાવહ છે. સામાન્ય રીતે વોટર પ્યુરીફાયરનું આયુષ્ય 5 થી 10 વર્ષનું હોય છે. આટલા સમય પછી તેની પ્લાસ્ટિક બોડી અને પાઈપ્સમાં બેક્ટેરિયા પનપવાની શક્યતા વધી જાય છે.




















