ઈન્દોરમાં થયેલા મૃત્યો જે ડર હતો તે સાચો પડ્યો છે. લેબ રિપોર્ટ્સે પુષ્ટિ આપી છે કે ઇન્દોરમાં દૂષિત પાણીને કારણે એક પછી એક ઘણા લોકોના મોત થયા છે. સ્થાનિક લોકો દાવો કરે છે કે ઇન્દોરના ભગીરથપુરામાં ઝાડાથી 13 લોકોના મોત થયા છે, જ્યારે વહીવટીતંત્રે માત્ર ચાર લોકોના મોતની પુષ્ટિ કરી છે. હાલમાં લગભગ 200 લોકો હોસ્પિટલમાં દાખલ છે. "ઝેરી" પાણીથી આશરે 1,400 લોકો પ્રભાવિત થયા છે.
પરીક્ષણ અહેવાલમાં પુષ્ટિ મળી છે કે મધ્યપ્રદેશની આર્થિક રાજધાનીના તે ભાગમાં જીવલેણ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું, જોકે શહેરને છેલ્લા આઠ વર્ષથી દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું હતું. ઇન્દોરના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી (CMHO), ડૉ. માધવ પ્રસાદ હસાનીએ ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે મેડિકલ કોલેજ લેબ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં પુષ્ટિ મળી છે કે પાઇપલાઇનમાં લીકેજથી ભરિરથપુરા વિસ્તારમાં પાણી દૂષિત થયું હતું, જેના કારણે ઝાડા ફાટી નીકળ્યા હતા. તેમણે પરીક્ષણ અહેવાલની વધુ વિગતો શેર કરી નથી.
પાઇપલાઇન અને ઉપર બનેલા શૌચાલયમાં લીકેજ થવાથી ઊભી થઈ સમસ્યા
અધિકારીઓનું કહેવું છે કે પોલીસ ચોકી નજીક મુખ્ય પાણી પુરવઠા પાઇપલાઇનમાં લીકેજ જોવા મળ્યું છે, જ્યાં તેના પર શૌચાલય બનાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે લીકેજથી આ વિસ્તારમાં પાણી દૂષિત થયું હતું. એડિશનલ ચીફ સેક્રેટ્રી સંજય દુબેએ જણાવ્યું હતું કે, "અમે ભગીરથપુરામાં સમગ્ર પાઇપલાઇનનું સંપૂર્ણ નિરીક્ષણ કરી રહ્યા છીએ જેથી નક્કી કરી શકાય કે અન્ય કોઈ લીકેજ છે કે નહીં." તેમણે કહ્યું કે નિરીક્ષણ પછી, પાઇપલાઇન દ્વારા સ્વચ્છ પાણી પૂરું પાડવામાં આવ્યું છે. જો કે, સાવચેતી રૂપે, લોકોને પાણી પીતા પહેલા ઉકાળવાનું કહેવામાં આવ્યું છે. દુબેએ કહ્યું, "અમે નમૂના પણ લીધા છે અને તેમને પરીક્ષણ માટે મોકલ્યા છે."
338 દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે, 200 દર્દીઓ હોસ્પિટલોમાં દાખલ છે.
વરિષ્ઠ અમલદારે જણાવ્યું હતું કે ભગીરથપુરામાંથી શીખેલા પાઠના આધારે, ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે સમગ્ર રાજ્ય માટે એક SOP જારી કરવામાં આવશે. મુખ્યમંત્રી મોહન યાદવના નિર્દેશ પર દુબે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા ભગીરથપુરા આવ્યા હતા. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે ભગીરથપુરામાં 1,714 ઘરોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. 8,571 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 338 લોકોએ ઉલટી અને ઝાડાના હળવા લક્ષણો દર્શાવ્યા હતા અને તેમની ઘરે સારવાર કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે છેલ્લા આઠ દિવસમાં 272 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી 71 લોકોને રજા આપવામાં આવી છે. 201 દર્દીઓ હોસ્પિટલમાં છે, જેમાંથી 32 ICUમાં છે.





















