વિલનથી સુપરસ્ટાર સુધીની સફર: અમિતાભ બચ્ચનને ટક્કર આપનાર વિનોદ ખન્નાની વિદાયને 9 વર્ષ પૂર્ણ
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્નાની આજે 8મી પુણ્યતિથિ છે. 27 April 2017ના રોજ 70 વર્ષની વયે કેન્સર સામે ઝઝૂમતા તેમનું નિધન થયું હતું. વિનોદ ખન્ના એક એવા અભિનેતા હતા જેમણે વિલન તરીકે શરૂઆત કરી હોવા છતાં પોતાની મહેનતથી સુપરસ્ટાર તરીકેની ઓળખ બનાવી હતી. એક સમયે તેમની લોકપ્રિયતા એટલી હતી કે તેઓ અમિતાભ બચ્ચનને પણ ટક્કર આપતા હતા.
ગ્લેમર છોડી ઓશોના શરણે: સફળતાના શિખરે સંન્યાસ અને ત્યારબાદ ફિલ્મોમાં શાનદાર કમબેક
વિનોદ ખન્નાના જીવનનો સૌથી ચોંકાવનારો વળાંક 1982માં આવ્યો હતો. જ્યારે તેઓ સફળતાના શિખરે હતા, ત્યારે અચાનક ફિલ્મી દુનિયા અને પરિવાર છોડીને ઓશો રજનીશના શરણે ગયા હતા. અમેરિકાના ઓરેગોન સ્થિત આશ્રમમાં તેમણે માળી તરીકે પણ કામ કર્યું હતું. આશરે 5 વર્ષ સુધી સન્યાસી જીવન ગાળ્યા બાદ તેઓ ફરી મુંબઈ પરત ફર્યા અને 'ઈન્સાફ' ફિલ્મથી શાનદાર કમબેક કર્યું હતું.
આ પણ વાંચો: "તમારી ખોટ ક્યારેય નહીં પૂરાય" | ઝનાઈ ભોસલેએ દાદી આશા તાઈને આપી શ્રદ્ધાંજલિ | Offbeat Stories
140 થી વધુ ફિલ્મો અને 4 વાર સાંસદ: અભિનયથી રાજકારણ સુધીનો સુવર્ણ પ્રવાસ
તેમણે તેમના કરિયરમાં 140 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 'અમર અકબર એન્થોની', 'કુરબાની', 'મેરે અપને' અને 'દયાવાન' જેવી અનેક યાદગાર ફિલ્મો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. અભિનય સિવાય તેમણે રાજકારણમાં પણ સફળ ઈનિંગ રમી હતી અને પંજાબની ગુરદાસપુર બેઠક પરથી 4 વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેમને મરણોત્તર 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' આપીને ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.





