Vat Savitri Vrat 2026: હિંદુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ છે. પરિણીત મહિલાઓ માટે આ વ્રત કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવનની કામના હોય છે. પૌરાણિક માન્યતા મુજબ, આ દિવસે સતી સાવિત્રીએ પોતાના દ્રઢ નિશ્ચય અને ભક્તિ દ્વારા યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. આ જ કારણ છે કે દર વર્ષે જ્યેષ્ઠ માસની અમાસના દિવસે મહિલાઓ શ્રદ્ધાપૂર્વક વટ વૃક્ષ (વડલા)ની પૂજા કરે છે. વડના વૃક્ષને અક્ષય માનવામાં આવે છે, તેથી તેની પૂજા કરવાથી સૌભાગ્યમાં પણ વૃદ્ધિ થાય છે.
વર્ષ 2026માં વટ સાવિત્રી વ્રત 16 મેના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે વડના વૃક્ષની પૂજા કરવી અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, આ વ્રત કરવાથી માત્ર પતિનું આયુષ્ય જ લાંબુ નથી થતું, પરંતુ વૈવાહિક જીવનમાં પ્રેમ અને પરસ્પર વિશ્વાસ પણ વધે છે. ચાલો જાણીએ આ વર્ષના શુભ મુહૂર્ત અને પૂજાની સંપૂર્ણ વિધિ વિશે.
વટ સાવિત્રી વ્રત 2026: તિથિ અને મુહૂર્ત
હિંદુ પંચાંગ અનુસાર, જ્યેષ્ઠ માસની અમાસ તિથિની શરૂઆત 16 મે 2026ના રોજ સવારે 05:11 વાગ્યે થશે અને તેનું સમાપન 17 મે 2026ના રોજ રાત્રે 01:30 વાગ્યે થશે. ઉદયા તિથિની માન્યતા મુજબ, વટ સાવિત્રી વ્રત 16 મે 2026, શનિવારના રોજ રાખવામાં આવશે.
આ પણ વાંચો: Chandra Gochar 2026 : ચંદ્રનું મીન રાશિમાં ભ્રમણ, આજથી આ 3 રાશિના જાતકો માટે શરૂ થશે 'ગોલ્ડન સમય'
પૂજા માટેના શુભ મુહૂર્ત:
બ્રહ્મ મુહૂર્ત: સવારે 04:07 થી 04:48 સુધી
વિજય મુહૂર્ત: બપોરે 02:04 થી 03:28 સુધી
ગોધૂલિ મુહૂર્ત: સાંજે 07:04 થી 07:25 સુધી
નિશિતા મુહૂર્ત: રાત્રે 11:57 થી 12:38 સુધી
પૂજાની સરળ વિધિ
વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓએ વહેલા ઉઠી, સ્નાન કરી નવા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ નીચે મુજબની વિધિ કરવી:
વડના વૃક્ષની નીચે માતા સાવિત્રી અને સત્યવાનની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો.
શુદ્ધ જળ ભરેલા લોટાથી વડના વૃક્ષના મૂળમાં જળ અર્પણ કરો.
વૃક્ષને અક્ષત (ચોખા), રોલી (કુમકુમ), ફૂલ અને પલાળેલા ચણા અર્પણ કરો.
ફળ અને ધૂપ-દીપથી પૂજા કરો.
સૌથી મહત્વની વિધિ મુજબ, સફેદ કાચા સૂતરના દોરાને વડની ફરતે વીંટાળતા 7 વાર પરિક્રમા કરો.
પૂજા બાદ વટ સાવિત્રી વ્રતની કથા સાંભળો અને વડીલોના આશીર્વાદ લો.
શક્તિ મુજબ દાન-દક્ષિણા આપી વ્રત પૂર્ણ કરો.
આ પણ વાંચો: રાજકારણ અને સરકારી નોકરીમાં પ્રગતિ જોઈએ છે? : ઘરની આ 2 દિશાઓનું સંતુલન રાખવુ જરૂરી
વટ વૃક્ષનું મહત્વ
હિંદુ શાસ્ત્રોમાં વડના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોનો વાસ માનવામાં આવે છે. તેની લાંબી વડવાઈઓ અમરત્વનું પ્રતીક છે. સાવિત્રીએ વડના વૃક્ષ નીચે જ પોતાના પતિના પ્રાણ બચાવ્યા હતા, તેથી આ દિવસે વડની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેવી અતૂટ શ્રદ્ધા છે.





