ઘણીવાર આપણે ઘરમાં ઉપયોગી એવી દવાઓ ગમે ત્યાં મૂકી દેતા હોઈએ છીએ. ખાસ કરીને કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેની સગવડ માટે દવાઓ પથારીની પાસે અથવા ઓશિકા પાસે રાખવામાં આવે છે. જોકે વાસ્તુ શાસ્ત્ર મુજબ આ આદત બિલકુલ યોગ્ય નથી. દવાઓ રાખવા માટે પણ ચોક્કસ નિયમો અને દિશાઓ નક્કી કરવામાં આવી છે જેનું પાલન કરવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડી શકે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દવાઓ રાખવા માટે ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખૂણો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં દવાઓ રાખવાથી દર્દીની તબિયતમાં ઝડપથી સુધારો થાય છે અને દવાઓનો પ્રભાવ સારો રહે છે. આ દિશા હકારાત્મક ઉર્જાનો સ્ત્રોત ગણાય છે જે રોગમાંથી મુક્તિ અપાવવામાં મદદરૂપ થઈ શકે છે.
બીજી તરફ કેટલીક દિશાઓમાં દવાઓ રાખવી અશુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ દક્ષિણ પૂર્વ દિશામાં ક્યારેય દવાઓ ન રાખવી જોઈએ. આ ઉપરાંત પશ્ચિમ દિશા પણ દવાઓ રાખવા માટે યોગ્ય નથી. એવું કહેવાય છે કે આ દિશાઓમાં દવા રાખવાથી બીમારી જલ્દી મટતી નથી અને સ્વાસ્થ્ય સંબંધી તકલીફો લાંબા સમય સુધી ચાલે છે.
ઘણા લોકોને આદત હોય છે કે તેઓ રાત્રે સૂતી વખતે દવાઓ પોતાના પથારીના માથાના ભાગે અથવા ઓશિકા નીચે રાખી દે છે. વાસ્તુ શાસ્ત્રમાં આને ખૂબ જ નકારાત્મક માનવામાં આવ્યું છે. પથારી પાસે દવા રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને વ્યક્તિના મનમાં સતત બીમારીના વિચારો આવ્યા કરે છે. જેના કારણે સ્વાસ્થ્ય સુધરવાને બદલે નવી સમસ્યાઓ ઉભી થવાની શક્યતા વધી જાય છે.
નિષ્ણાતોના મતે દવાઓને હંમેશા બેડરૂમની બહાર કોઈ સુરક્ષિત અને બંધ જગ્યાએ રાખવી જોઈએ. આમ કરવાથી ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે અને બીમાર વ્યક્તિ માનસિક રીતે પણ સ્વસ્થતા અનુભવે છે. યોગ્ય જગ્યાએ દવાઓ રાખવાથી માત્ર વ્યવસ્થા જ નથી જળવાતી પરંતુ વાસ્તુ દોષથી પણ બચી શકાય છે.





















