ભારતીય સંસ્કૃતિમાં અન્નનું મહત્વ અનેરું છે અને તેને માત્ર પેટ ભરવાનું સાધન નહીં પણ પરબ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ભોજન બનાવવા અને જમવા માટેના ચોક્કસ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણીવાર આપણે અજાણતા એવી જગ્યાએ બેસીને કે એવી દિશામાં મોઢું રાખીને ભોજન કરીએ છીએ જેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે. જો ભોજન યોગ્ય રીતે અને યોગ્ય દિશામાં કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ બંને વધારે છે. ખોટી રીતે લેવાયેલું ભોજન માત્ર શરીરને જ નહીં પણ ઘરની આર્થિક સ્થિતિને પણ નુકસાન પહોંચાડી શકે છે.
કઈ દિશામાં મોઢું રાખીને જમવું શ્રેષ્ઠ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભોજન કરતી વખતે દિશાનું ખાસ મહત્વ હોય છે. જમતી વખતે તમારું મુખ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. આ બંને દિશાઓમાંથી સકારાત્મક ઊર્જા મળે છે જે પાચન ક્રિયા સુધારે છે અને મનને શાંત રાખે છે. પૂર્વ દિશા સૂર્યની દિશા છે જે સ્વાસ્થ્ય અને આયુષ્ય વધારે છે જ્યારે ઉત્તર દિશા લક્ષ્મીજીની દિશા હોવાથી ઘરમાં બરકત લાવે છે. દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને જમવું અશુભ માનવામાં આવે છે.
ઘરના ઉંબરા પર બેસીને ન જમવું
ઘણા લોકોને ઘરના દરવાજે કે ઉંબરા પર બેસીને ખાવાની આદત હોય છે પરંતુ શાસ્ત્રોમાં આને વર્જિત માનવામાં આવ્યું છે. ઘરના મુખ્ય દ્વાર કે ઉંબરા પર દેવી દેવતાઓનો વાસ હોય છે. ત્યાં બેસીને ભોજન કરવાથી તેમનું અપમાન થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. આ જગ્યાએ બેસીને ખાવાથી નકારાત્મક શક્તિઓ શરીરમાં પ્રવેશી શકે છે તેથી હંમેશા કોઈ સ્વચ્છ અને શાંત જગ્યાએ બેસીને જ જમવું જોઈએ.
તૂટેલા વાસણમાં ભોજનનો નિષેધ
આજના સમયમાં ક્યારેક મોંઘા ક્રોકરી સેટમાં થોડી તિરાડ પડી હોય તો પણ લોકો તેનો ઉપયોગ ચાલુ રાખે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તૂટેલા કે તિરાડ વાળા વાસણમાં ભોજન કરવું તે અત્યંત અશુભ છે. ભોજન એ ભગવાનનો પ્રસાદ છે અને તૂટેલા વાસણમાં જમવું તે અન્નું અપમાન છે. આવી આદત વ્યક્તિના જીવનમાં દુર્ભાગ્ય નોતરે છે અને આર્થિક મુશ્કેલીઓ ઊભી કરે છે.
રસોઈ બનાવતી વખતે ધ્યાન રાખો
માત્ર જમતી વખતે જ નહીં પણ રસોઈ બનાવતી વખતે પણ દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે. રસોઈ બનાવનાર વ્યક્તિનું મુખ હંમેશા પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. દક્ષિણ કે પશ્ચિમ દિશા તરફ મોઢું રાખીને રસોઈ બનાવવાથી તે ભોજન કરનારના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આ ઉપરાંત રસોડામાં સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે કારણ કે ત્યાં અન્નપૂર્ણા માતાનો વાસ હોય છે. સ્નાન કર્યા વગર કે ગંદા કપડાં પહેરીને રસોઈ બનાવવી જોઈએ નહીં.





















