નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રનો આજે પ્રારંભ થઈ રહ્યો છે અને પ્રથમ જ દિવસે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ વિધેયક રજૂ કરે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં 'પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર (સુધારા) બિલ, 2026', જેને સામાન્ય ભાષામાં 'વંદે માતરમ બિલ' તરીકે ઓળખવામાં આવી રહ્યું છે, તે રજૂ કરે તેવી સંભાવના છે.
આ પ્રસ્તાવિત સુધારા દ્વારા ભારતના રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ને વિશેષ કાનૂની સુરક્ષા આપવાનો સરકારનો પ્રયાસ છે. જો આ બિલ સંસદમાંથી પસાર થશે, તો વંદે માતરમનું ઇરાદાપૂર્વક અપમાન કરવું અથવા તેના ગાનમાં જાણબૂઝીને વિક્ષેપ ઊભો કરવો કાયદેસર રીતે દંડનીય ગુનો બની શકે છે.
આ પણ વાંચો: વડોદરામાં પાણી છાંટવા બાબતે 2 જૂથ વચ્ચે હથિયારો સાથે અથડામણ : 2 લોકો થયા ઈજાગ્રસ્ત
શા માટે લાવવામાં આવી રહ્યું છે બિલ?
હાલમાં Prevention of Insults to National Honour Act, 1971 હેઠળ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગાન 'જન ગણ મન'ના અપમાન સામે કાનૂની જોગવાઈઓ છે. કેન્દ્ર સરકાર હવે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ને પણ સમાન કાનૂની સુરક્ષા આપવાના ઉદ્દેશ્યથી આ કાયદામાં સુધારો કરવા માંગે છે.
સરકારનું માનવું છે કે રાષ્ટ્રીય ગીત દેશની આઝાદીની લડત, રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક ઓળખનું મહત્વપૂર્ણ પ્રતીક છે. તેથી તેના સન્માન માટે સ્પષ્ટ કાનૂની જોગવાઈ જરૂરી છે.
બિલમાં શું હોઈ શકે છે જોગવાઈ?
પ્રસ્તાવિત સુધારા મુજબ, જો કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક વંદે માતરમનું અપમાન કરે, તેનું અવમાન કરે અથવા તેના ગાનમાં વિક્ષેપ ઊભો કરે, તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. જોકે બિલ સંસદમાં રજૂ થયા બાદ તેની અંતિમ જોગવાઈઓ અને સજાની વિગતો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરના PA સામે ACBની વધુ એક કાર્યવાહી : આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો નોંધાયો
બિલ રજૂ થયા બાદ રાજ્યસભા અને લોકસભામાં તેના પર ચર્ચા થશે. બંને ગૃહમાંથી મંજૂરી અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ જ તે કાયદાનું સ્વરૂપ ધારણ કરશે.
ચોમાસુ સત્રમાં અનેક મહત્વના બિલ પર રહેશે નજર
આજથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર અનેક મહત્વના વિધેયકો રજૂ કરવાની તૈયારીમાં છે. તેમાં 'વંદે માતરમ બિલ' સૌથી વધુ ચર્ચામાં છે. રાજકીય પક્ષો આ બિલ પર શું વલણ અપનાવે છે અને સંસદમાં તેની ચર્ચા કેવી રીતે આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.






