વલસાડના પારડીના અરનાલા ગામમાં રહેતા જીવદયા પ્રેમી નિરવભાઈ ધીરુભાઈ પટેલના દુઃખદ અવસાનથી સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થયો છે. પ્રાણીઓ પ્રત્યે અદભૂત પ્રેમ અને માનવતા ભરેલું હૃદય ધરાવતા નિરવ છેલ્લા અનેક વર્ષોથી ઝેરી સાપ, અજગર સહિતના જીવજંતુઓને પકડી સલામત સ્થળે છોડવાની નિ:સ્વાર્થ સેવા કરતા હતા. તેઓ માનવ અને પ્રાણી બંનેના રક્ષણ માટે હંમેશા તત્પર રહેતા અને જીવદયા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.
દુર્ભાગ્યવશ સાપે તેમને ડંખ માર્યો અને...
આસપાસના ગામોમાં ક્યાંય સાપ દેખાય કે જોખમ સર્જાય તો લોકો તરત જ નિરવભાઈનો સંપર્ક કરતા. તેઓ કોઈ વિલંબ કર્યા વગર સ્થળ પર પહોંચી જઈ જોખમી પરિસ્થિતિમાં પણ શાંતિપૂર્વક સાપ પકડી પ્રકૃતિમાં પરત મુક્ત કરતા. પોતાની જિંદગીની પરવા કર્યા વગર કરેલી તેમની સેવા લોકો માટે પ્રેરણારૂપ હતી. મહાશિવરાત્રિની આગલી સાંજે તેમને બે અલગ-અલગ સ્થળેથી ઝેરી નાગ પકડવાના સંદેશા મળ્યા હતા. બંને નાગને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા બાદ બીજા દિવસે જ્યાં નાગ પકડાયો હતો ત્યાં તેની જોડી દેખાતા, તેને પણ બચાવવા તેઓ ફરી ત્યાં પહોંચ્યા. દુર્ભાગ્યવશ આ દરમિયાન સાપે તેમને ડંખ માર્યો.
ગામોમાં શોકની લાગણી છવાઈ
તાત્કાલિક સારવાર માટે તેમને ધરમપુર ખાતે ખસેડવામાં આવ્યા અને સાઈનાથ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી. છતાં તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને ડૉક્ટરો તેમને બચાવી શક્યા નહોતા. નિરવભાઈ માત્ર સાપ પકડનાર જ નહોતા, પરંતુ જીવદયા અંગે લોકોમાં જાગૃતિ ફેલાવનાર પ્રેરણાસ્રોત હતા. તેમના અવસાનથી પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં અપૂરણીય ખોટ ઊભી થઈ છે. અરનાલા અને આસપાસના ગામોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને લોકો આ સેવાભાવી યુવાનને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.




















