ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા વચ્ચે, શુક્રવારે ભારત-ચીન (તિબેટ) સરહદી વિસ્તારમાં માણા કેમ્પ નજીક ભારે હિમસ્ખલન થયું છે. આ દરમિયાન ત્યાં નિર્માણ કાર્યમાં લાગેલા 57 મજૂરો બરફમાં દટાઈ ગયા છે. અત્યાર સુધીમાં 10 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. ખરાબ હવામાનને કારણે સંચાર સેવા ઠપ થઈ ગઈ છે. એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે. સેના અને આઈટીબીપી બચાવ કાર્યમાં લાગેલા છે. એનડીઆરએફની ટીમને પણ ખસેડવામાં આવી છે.
ત્રણ દિવસથી હિમવર્ષા
બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ, વેલી ઓફ ફ્લાવર્સ, રુદ્રનાથ, લાલ માટી, નંદા ઘુંઘટી, ઓલી અને માણા ખીણોમાં ત્રણ દિવસથી હિમવર્ષા થઈ રહી છે. હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. સેનાની સાથે ITBP, NDRF, SDRFની બચાવ ટુકડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, 'દુઃખદ સમાચાર મળ્યા કે ચમોલી જિલ્લાના માણા ગામ પાસે બીઆરઓ દ્વારા હાથ ધરવામાં આવેલા નિર્માણ કાર્ય દરમિયાન હિમપ્રપાતને કારણે ઘણા મજૂરો દટાયા છે.
ITBP, BRO અને અન્ય બચાવ ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હું ભગવાન બદ્રી વિશાલને તમામ મજૂર ભાઈઓની સુરક્ષા માટે પ્રાર્થના કરું છું.'
તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસથી પહાડોમાં હવામાન ખૂબ જ ખરાબ છે. ઉત્તરાખંડની સાથે હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ નદીઓ ઉભરાઈ રહી છે તો કેટલીક જગ્યાએ વાહનો નાળાઓમાં વહી રહ્યાં છે.





