Muslim Youth Wants To Become Hindu : લાંબા સમયથી ગુજરાતમાં ધર્મ પરિવર્તનનો મુદ્દો ચર્ચામાં રહ્યો છે. જેમાં હિન્દુઓનું ધર્માંતર કરવાના અનેક કિસ્સાઓ અત્યાર સુધી સામે આવી ચુક્યા છે. જોકે, સંસ્કારીનગરી વડોદરામાં આનાથી ઉલ્ટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક મુસ્લિમ યુવકે ધર્મ પરિવર્તન કરીને હિન્દુ ધર્મ અપનાવવાની માંગ કરી છે. આ કિસ્સો હાલ ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. મુસ્લિમ પરિવારમાં ઉછેર બાદ યુવકને ખબર પડી કે, તે મૂળ હિન્દુ હતો. વડોદરાના મુસ્લિમ યુવકે કલેક્ટર કચેરીમાં ધર્મપરિવર્તનની અરજી કરતા કહ્યું કે, તે પોતાના ધર્મમાં પરત ફરવા માંગે છે. આખરે હિન્દુ યુવક કેવી રીતે મુસ્લિમ બન્યો, શું છે તેના પાછળની કહાની તે પણ જાણો વિગતવાર
ગુજરાતમાં ધર્મ પરિવર્તનને લઈને ચાલી રહેલા ચર્ચાઓ વચ્ચે વડોદરામાં એક અનોખો અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. મોહમ્મદ સિરાજ નામના એક મુસ્લિમ યુવકે હિન્દુ ધર્મમાં પરત ફરવા માટે કલેક્ટર કચેરીમાં સત્તાવાર અરજી કરી છે. યુવક હવે પોતાનું નામ બદલીને હાર્દિક પટેલ રાખવા માંગે છે. મળતી માહિતી મુજબ, મોહમ્મદ સિરાજ મૂળ સુરતનો રહેવાસી છે. બાળપણમાં, તે માત્ર પાંચ વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતાએ તેને છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારબાદ વડોદરાના એક મુસ્લિમ પરિવારે તેને દત્તક લઇ તેનો ઉછેર કર્યો હતો. આ પરિવારે તેને પોતાના સંતાનની જેમ જ સંભાળી મોટો કર્યો.
યુવકના જણાવ્યા અનુસાર, તેને મોટા થયા પછી ખબર પડી કે તે મૂળ હિન્દુ પરિવારમાં જન્મેલો હતો. આ જાણકારી મળ્યા બાદ તેણે પોતાના મૂળ ધર્મમાં પરત ફરવાનો નિર્ણય લીધો છે. સિરાજે જણાવ્યું કે, તેના પિતાનું નામ ગુલઝારીલાલ પટેલ હતું, પરંતુ હાલ તેઓ ક્યાં છે તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ ધર્મ પરિવર્તન પ્રક્રિયા માટે યુવકે વડોદરાની પ્રતાપનગર સ્થિત આર્યસમાજ સંસ્થાની મદદ લીધી છે. તેમના માધ્યમથી સિરાજે ધર્મ પરિવર્તન માટે અરજી કરી છે. સાથે જ તેણે વડોદરા કલેક્ટર કચેરીમાં પણ સોગંદનામું રજૂ કરીને ઈસ્લામમાંથી હિન્દુ ધર્મમાં પરિવર્તન માટે સત્તાવાર વિનંતી કરી છે.
ધ્યાન આપવા જેવી વાત એ છે કે, ભારતમાં ધર્મ પરિવર્તન માટે કાયદાકીય પ્રક્રિયા ખુબ જ જટિલ અને લાંબો સમય માંગી લે તેવી હોય છે. ખાસ કરીને તેમાં સરકારની મંજૂરી લેવી ફરજિયાત હોય છે અને વિવિધ દસ્તાવેજો તથા તપાસની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. દેશમાં હિન્દુ-મુસ્લિમ મુદ્દાઓને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ કેસે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. યુવકનો દાવો છે કે તે પોતાની ઓળખ અને મૂળ સાથે જોડાવા માટે આ નિર્ણય લઈ રહ્યો છે. હાલમાં, તેની અરજી પર પ્રશાસન દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.




















