Air Balloon Technology: વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનો ગંભીરા બ્રિજ ગત 9 જુલાઈની વહેલી સવારે ધરાશાયી થવાની ઘટના બની હતી. તંત્રની બેદરકરીના કારણે આ દુર્ઘટનામાં કુલ 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એક ઘટનાને આજે લગભગ એક મહિનો થવા આવ્યો છતાં હજુ પણ એક મૃતદેહ મહી નદીમાંથી મળી શક્યો નથી. ત્યારે દુર્ઘટના બાદ ચમત્કારિક રીતે ગંભીરા બ્રિજ પર લટકેલું મસમોટુ ટેન્કર આટલા દિવસો બાદ હજુ પણ પોતાની જ જગ્યાએ અટકેલું છે.
પ્રાપ્ત માહિતી મુજબ દુર્ઘટના બાદ બ્રિજ પર લટકેલા ટેન્કરને નીચે ઉતારવા ‘એર બલૂન ટેકનોલોજી’નો અનોખો પ્રયાસ થવા જઈ રહ્યો છે. બ્રિજ પરથી મહાકાય ટ્રકને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે દેશમાં પહેલીવાર "એર બલૂન ટેકનોલોજી"નો ઉપયોગ થવા જઈ રહ્યો છે.
કઈ રીતે કામ કરે છે આ એર બલૂન ટેકનોલોજી?
ટ્રકને એરલિફ્ટ કરવા માટે નદીના પટ પર બલૂન એસેમ્બલ કરીને તેમાં પ્રોપેન ગેસ ભરાશે અને તે ટંકીને ધીમે ધીમે ઉપર ઉઠાવશે. બલૂન ટેકનોલોજી મૂળ આર્કિમિડીસના સિદ્ધાંત પર આધારિત છે, જેમાં ગેસના દબાણથી વજનદાર વસ્તુઓને હવામાં ઊંચકવામાં આવે છે.
બ્રિજ પર લટકતા ટ્રકને કઈ રીતે કરાશે એરલિફ્ટ?
એવું પણ જાણવા મળ્યું છેકે, પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપ દ્વારા આ ઓપરેશન હાથ ધરાશે, જેમાં ન્યુમેટિક બલૂન, હાઇડ્રોલિક ડ્રિવન સ્ટ્રેન્જ જેક અને હ્યુમેટિક રોલર બેગ જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. આ બલૂન કોઈ વસ્તુને ઊઠાવી કેટલુ દૂર જઈ શકે તે પ્રોપેન ગેસની બોટલ્સ અને તેની અંદરનો ગેસ કેટલા સમય સુધી ચાલી શકે તેના પર નિર્ધારિત હોય છે. પરંતુ અત્યારે માત્ર લટકતા ટ્રકને ઉચકીને બ્રિજના સુરક્ષિત ભાગમાં મુકવામાં આવશે.
જોકે, એર બૂલનના આ ઓપરેશન લગભગ 4-5 કલાક ચાલશે અને સુરક્ષાને ધ્યાને રાખીને સમગ્ર પ્રક્રિયા બ્રિજ પર ગયા વિના કરવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, ટ્રકના વજન કરતાં વધુ ક્ષમતા ધરાવતા બે બલૂનનો ઉપયોગ આ એરલિફ્ટ ઓપરેશનમાં થશે. જેથી તેની સ્થિરતા જળવાઈ રહે. ભારતમાં બલૂન દ્વારા ટ્રકને હવામાંથી ઊંચકીને સુરક્ષિત રીતે ઉતારવાનો આ પહેલો પ્રયાસ હશે.





















