Home Gujarat Vadodara Vadodara More Than 100 Families Alleged Loan Scam Sbi Manager Middlemen Accused

સસ્તી લોનની લાલચ પડી ભારે! : વડોદરામાં 100થી વધુ પરિવારો બન્યા લોન કૌભાંડના શિકાર, SBI મેનેજર અને વચેટીયાઓ સામે ગંભીર આક્ષેપ

Vadodara Loan Scam
Published by: Nirali Gohil
Last Updated: Jun 23, 2026, 04:47 AM IST

Vadodara Loan Scam: વડોદરા શહેરમાં આર્થિક રીતે નબળા અને વંચિત વર્ગના 100થી વધુ પરિવારો સાથે કથિત લોન કૌભાંડ આચરાયું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પીડિતોના જણાવ્યા મુજબ, તેમને સરળ શરતો અને ઓછી વ્યાજદરે લોન અપાવવાની લાલચ આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમના નામે મોટી રકમની લોન મંજૂર થઈ હોવાની જાણ થતાં તેઓ આર્થિક સંકટમાં ફસાઈ ગયા છે. આ મામલે પીડિત પરિવારો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. તેમણે મામલતદારને લેખિત આવેદનપત્ર આપીને સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. પીડિતોનું કહેવું છે કે તેઓને લોન પ્રક્રિયા અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી નહોતી અને હવે બેંક તરફથી મળતી નોટિસોને કારણે તેઓ ભારે ચિંતામાં છે.

વચેટીયાઓ અને બેંકના પૂર્વ અધિકારી સામે આક્ષેપ

ફરિયાદી દીપક દિલીપભાઈ સોલંકી સહિતના પીડિતોના આક્ષેપ અનુસાર, સમગ્ર પ્રકરણમાં કેટલાક વચેટીયાઓ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક તત્કાલીન મેનેજરની સંડોવણી હોઈ શકે છે. પીડિતોનો દાવો છે કે લોન પ્રક્રિયા દરમિયાન જરૂરી માહિતી છુપાવવામાં આવી હતી અને તેમના નામે મંજૂર થયેલી રકમનો વાસ્તવિક લાભ તેમને મળ્યો નહોતો. તેમનો આક્ષેપ છે કે, લોનની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, જ્યારે લોનની જવાબદારી તેમના માથે આવી ગઈ. જોકે, આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ હજુ બાકી છે અને સંબંધિત પક્ષો તરફથી આ મુદ્દે કોઈ જાહેર પ્રતિક્રિયા સામે આવી નથી.

આ પણ વાંચો: પોલીસની જેમ હવે પાલિકાના અધિકારીઓ પણ દેખાશે યુનિફોર્મમાં : લાગુ થયો ડ્રેસ કોડ, જાણો શું છે નવો નિયમ

લોનની વસૂલાત માટે નોટિસો મળતા પરિવારોમાં ચિંતા

પીડિત પરિવારોનું કહેવું છે કે હવે લોનની રકમની વસૂલાત માટે બેંક દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. કેટલાક પરિવારોને સરફેસી એક્ટ હેઠળ નોટિસો મળ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે તેમના રહેણાંક મકાનો પર જોખમ ઊભું થયું હોવાનું તેઓ માને છે. આર્થિક રીતે નબળા પરિવારો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. એક તરફ તેઓ છેતરપિંડીનો ભોગ બન્યાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ લોનની વસૂલાતનો સામનો કરી રહ્યા છે.

એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ

પીડિતોએ પોતાના આવેદનમાં માંગ કરી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, તેમણે એટ્રોસિટી એક્ટ સહિત સંબંધિત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવાની માંગ પણ કરી છે. પીડિત પરિવારોનું કહેવું છે કે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના મકાનો સામેની જપ્તી અથવા અન્ય વસૂલાતની કાર્યવાહી પર રોક લગાવવામાં આવે.

ન્યાય નહીં મળે તો આંદોલનની ચેતવણી

કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવેલા પરિવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમણે ચેતવણી આપી છે કે જો તેમની ફરિયાદ પર સમયસર કાર્યવાહી નહીં થાય અને તેમને ન્યાય નહીં મળે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરશે. પીડિતોએ જણાવ્યું કે, આગામી દિવસોમાં સામૂહિક ઉપવાસ, ધરણાં અથવા અન્ય શાંતિપૂર્ણ કાર્યક્રમો દ્વારા પોતાનો અવાજ સરકાર અને વહીવટી તંત્ર સુધી પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદના બાપુનગરમાં મોડી રાત્રે બેકાબૂ કારનો કહેર! : અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલાનું મોત, ચારથી વધુ ઘાયલ

તપાસ બાદ જ સામે આવશે સત્ય

હાલ સમગ્ર મામલો આક્ષેપો અને રજૂઆતોના તબક્કે છે. કથિત કૌભાંડ અંગે સત્તાવાર તપાસ શરૂ થયા બાદ જ વાસ્તવિક હકીકતો બહાર આવશે. પીડિતોની રજૂઆત બાદ હવે વહીવટી તંત્ર અને તપાસ એજન્સીઓ આ મામલે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now