વડોદરા: વડોદરાના ધોળાકુવા ગામમાં એક એવી ઘટના સામે આવી છે જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. જે ઘરમાં હજુ લગ્નની મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો, ત્યાં જ એક નવવિવાહિતાનો સંસાર કાયમ માટે ઉજડી ગયો છે. લગ્નના માત્ર દોઢ મહિનાના ટૂંકા ગાળામાં જ પતિએ પત્નીનો કરૂણ અંત આણ્યો છે. સામાન્ય રીતે લગ્ન બાદ દંપતી સુખી જીવનના સપના જોતા હોય છે, પરંતુ અહીં પતિની વહેમીલી નજરે એક નિર્દોષ યુવતીનો જીવ લઈ લીધો છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી દીધી છે અને કાયદો-વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.
સાળાને ફોન કરી કહ્યું- ‘અમારી લાશો લઈ જજો’
ઘટનાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, પત્નીનો જીવ લીધા બાદ આરોપી પતિ હર્ષદ ગોહિલે પોતાના સાળા જયદીપભાઈને ફોન કર્યો અને ફોન પર તેણે અત્યંત ઠંડા કલેજે ભયાનક શબ્દો ઉચ્ચાર્યા હતા કે, “અમારી લાશો લઈ જજો.” આ વાક્ય સાંભળતા જ તેજલબેનના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ગભરાયેલા પરિવારે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે તેજલબેન બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક વાસદની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું અને ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
વહેમીલા પતિનો ત્રાસ અને બનાવની વિગતો
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, હર્ષદ ગોહિલ અને તેજલબેનના લગ્ન માત્ર દોઢ મહિના પહેલા જ થયા હતા. જોકે, લગ્નના થોડા જ દિવસોમાં હર્ષદનું અસલી રૂપ સામે આવવા લાગ્યું હતું. તે તેજલબેન પર ખોટો વહેમ રાખીને તેમને માનસિક અને શારીરિક રીતે અસહ્ય ત્રાસ આપતો હતો. તેજલબેન આ નરક સમાન જીવનમાંથી બહાર નીકળે તે પહેલા જ હર્ષદે તેમના જીવનનો અંત લાવી દીધો. શરૂઆતમાં આ મામલો સામાન્ય દેખાઈ રહ્યો હતો, પરંતુ તેજલબેનના પરિવારને શંકા જતાં તેમણે ન્યાયની માંગ કરી હતી.
આ પણ વાંચો: વડોદરાની દીકરીઓનો કમાલ : મર્યાદિત સાધનો વચ્ચે ધોરણ-12માં મેળવી ઝળહળતી સફળતા
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો ભયાનક ખુલાસો
ઘટનાની જાણ થતા જ પોલીસ હરકતમાં આવી હતી અને મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે વડોદરાની એસએસજી(S.S.G) હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રિપોર્ટમાં સ્પષ્ટ થયું હતું કે, તેજલબેનનું મોત કુદરતી રીતે નહીં, પરંતુ ગળું દબાવવાને કારણે થયું છે. આ પુરાવા મળતા જ નંદેસરી પોલીસે આરોપી પતિ હર્ષદ ગોહિલની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી.
પોલીસની કડક કાર્યવાહી અને તપાસ
નંદેસરી પોલીસે હાલ હત્યારા પતિ હર્ષદ ગોહિલને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું આ ભયાનક પગલાં પાછળ માત્ર વહેમ જ જવાબદાર હતો કે, પછી અન્ય કોઈ ગુપ્ત કારણો પણ આ ઘટના સાથે જોડાયેલા છે. એક હસતા-રમતા પરિવારનો આ રીતે કરૂણ અંત આવતા ધોળાકુવા ગામ સહિત સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે.





