Vadodara News: સમગ્ર ગુજરાતમાં ચિંતા વધારનાર ચાંદીપુરા વાયરસ હવે વડોદરા સુધી પહોંચ્યો હોવાની આશંકા વચ્ચે શહેરમાં પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા ત્રણ વર્ષના બાળકમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળતાં તેને તાત્કાલિક ગોત્રી સ્થિત જીએમઈઆરએસ (GMERS) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ બાળકની તબીબી દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે, જ્યારે ચાંદીપુરા વાયરસની સત્તાવાર પુષ્ટિ માટે તેના લોહીના નમૂનાઓ પુનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) તેમજ ગાંધીનગરની અધિકૃત લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આ કેસ શંકાસ્પદ છે અને લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ શકશે. તેમ છતાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્રે સાવચેતીના તમામ પગલાં શરૂ કરી દીધા છે. બાળકના પરિવારજનો, આસપાસના રહેવાસીઓ તેમજ વિસ્તારની આરોગ્ય તપાસ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
સમગ્ર જિલ્લામાં આરોગ્ય તંત્ર એલર્ટ
ભાયલીમાં શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ વડોદરા જિલ્લા આરોગ્ય વિભાગે સર્વેલન્સ વધારી દીધું છે. આરોગ્ય અધિકારીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈને આસપાસના બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. મચ્છર અને સેન્ડફ્લાય જેવા જીવાતોના નિયંત્રણ માટે પણ સ્થાનિક સ્તરે કામગીરી તેજ કરવામાં આવી છે. આ દરમિયાન વડોદરાની સયાજી હોસ્પિટલમાં પણ વડોદરા જિલ્લા બહારના વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસના આશરે 10 શંકાસ્પદ દર્દીઓ સારવાર માટે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પૈકી બે બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે, જ્યારે ત્રણ બાળકો હજુ પણ સારવાર હેઠળ છે. જોકે આ કેસો અન્ય જિલ્લાઓના હોવાથી સ્થાનિક ચેપ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: વડોદરાના સાવલીમાં ખેતરમાં મળી આવ્યો વૃદ્ધનો મૃતદેહ : હવે પોસ્ટમોર્ટમ બાદ થશે મોતનું અસલી રહસ્ય ઉજાગર
શું છે ચાંદીપુરા વાયરસ?
ચાંદીપુરા વાયરસ એક દુર્લભ પરંતુ ગંભીર વાયરલ ચેપ છે, જે મુખ્યત્વે સેન્ડફ્લાય (રેત માખી) દ્વારા ફેલાય છે. કેટલીક પરિસ્થિતિમાં મચ્છર અથવા અન્ય જીવાતોની ભૂમિકા અંગે પણ અભ્યાસ કરવામાં આવ્યો છે, પરંતુ મુખ્ય વાહક તરીકે સેન્ડફ્લાયને જ માનવામાં આવે છે. આ વાયરસ ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વધુ અસર કરે છે. વાયરસ શરીરમાં પ્રવેશ્યા બાદ તે મગજ અને નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે. ગંભીર સ્થિતિમાં દર્દીને એન્સેફેલાઇટિસ (મગજમાં સોજો) જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. આ કારણે સમયસર સારવાર અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.
કયા લક્ષણો દેખાય તો સાવચેત રહેવું?
આરોગ્ય વિભાગે વાલીઓને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે. જો બાળકમાં નીચે મુજબના લક્ષણો જોવા મળે તો તરત જ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ:
અચાનક ખૂબ ઊંચો તાવ આવવો
સતત અથવા વારંવાર ઉલટી થવી
માથામાં તીવ્ર દુખાવો
શરીરમાં ખેંચ અથવા આંચકી આવવી
બાળક એકદમ સુસ્ત થઈ જવું અથવા બેભાન જેવી સ્થિતિમાં જવું
વારંવાર ઊંઘ આવવી અથવા પ્રતિસાદ ઓછો આપવો
ડૉક્ટરોનું કહેવું છે કે આવા લક્ષણો દેખાય તો ઘરગથ્થુ ઉપચાર અથવા સ્વયં દવા લેવાની ભૂલ ન કરવી જોઈએ. તાત્કાલિક બાળરોગ નિષ્ણાત અથવા નજીકની સરકારી હોસ્પિટલમાં પહોંચવું જરૂરી છે, કારણ કે શરૂઆતના કલાકોમાં મળતી સારવાર દર્દીનો જીવ બચાવવામાં નિર્ણાયક બની શકે છે.





