વડોદરા: વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલી મોબાઈલની એક દુકાનમાં લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવતા વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. આજવા રોડ પર શ્રી હરી ટાઉનશીપ નજીક આવેલી 'ફોન બુક' મોબાઈલ શોપને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ અંદાજે રૂ. 30 લાખથી વધુ કિંમતના બ્રાન્ડેડ સ્માર્ટફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં બાપોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ચોરીની ઘટના મોડી રાત્રે અથવા વહેલી સવારે બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. બજાર બંધ હોવાનો લાભ લઈ બે અજાણ્યા શખ્સોએ દુકાનમાં પ્રવેશ કરીને અંદર રાખેલા કિંમતી મોબાઈલ ફોનની ચોરી કરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ ચોરી થયેલા મુદ્દામાલની કિંમત રૂ. 30 લાખથી વધુ હોવાનું જાણવા મળ્યું છે, જોકે પોલીસ દ્વારા નુકસાનનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: વાલ્વ સર્જરી બાદ માસૂમનું મોત : સુરતની કિરણ હોસ્પિટલ આવી વિવાદમાં, પરિવારે કર્યા ગંભીર આક્ષેપો
સવારે દુકાન ખુલતાં ચોરીનો ભાંડો ફૂટ્યો
રોજની જેમ સવારે દુકાનના માલિક દુકાને પહોંચ્યા ત્યારે દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક બાપોદ પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઉચ્ચ અધિકારીઓ અને ફોરેન્સિક નિષ્ણાતો સાથે સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્રિત કરીને તપાસ હાથ ધરી છે.
દુકાનમાંથી કેટલી સંખ્યામાં મોબાઈલ ફોનની ચોરી થઈ છે અને અન્ય કોઈ મુદ્દામાલની પણ ચોરી થઈ છે કે નહીં તે અંગે પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: નમાઝ પઢીને ચા પીવા બેઠા અને થઈ ગયો હુમલો : વડોદરામાં જાહેર રસ્તા પર બે યુવકો પર જીવલેણ હુમલાથી ચકચાર
CCTVમાં કેદ થઈ સમગ્ર ઘટના
દુકાન અને આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ દરમિયાન ચોરીની ઘટના કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂટેજમાં બે શખ્સો મોઢું ઢાંકીને દુકાનમાં પ્રવેશતા અને થોડા જ સમયમાં મોબાઈલ ફોન ભરીને બહાર નીકળતા જોવા મળ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીઓની ઓળખ મેળવવાના પ્રયાસો કરી રહી છે. આસપાસના વિસ્તારોના અન્ય કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓ કઈ દિશામાં ફરાર થયા તેની માહિતી મળી શકે.
બાપોદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
બાપોદ પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વેપારી સંસ્થાઓને નિશાન બનાવતી ચોરીની ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ અને સર્વેલન્સ વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: '₹2.5 લાખ ફી ભર્યા બાદ પણ ડોક્યુમેન્ટ્સ અટકાવ્યા' : સુરેન્દ્રનગરની આયુર્વેદિક કોલેજ સામે વાલીના ગંભીર આક્ષેપ
પોલીસે વેપારીઓને પણ દુકાનોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા CCTV, એલાર્મ સિસ્ટમ અને અન્ય સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. હાલ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.





