ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ (કાચા તેલ)ની કિંમતોમાં આવેલા ઉછાળાને કારણે ભારતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પર મોટું આર્થિક દબાણ આવી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર હોવાને કારણે કંપનીઓના માર્જિન ઘટી રહ્યા છે અને તેમને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારની અસર
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધવાની અસર હવે ભારતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર સ્પષ્ટ દેખાઈ રહી છે. રિપોર્ટ અનુસાર, ક્રૂડ મોંઘું થવાને કારણે દેશની મોટી ઓઈલ કંપનીઓ, ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહી છે.
વાસ્તવમાં, પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ઘણી વખત ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 115 ડોલરની નજીક પહોંચી ગઈ છે. ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85% ક્રૂડ ઓઈલ આયાત કરે છે, તેથી આ ભાવવધારાની સીધી અસર આપણી અર્થવ્યવસ્થા પર પડે છે. નિષ્ણાતોના મતે, કાચા તેલની કિંમતમાં દર 10 ડોલરના વધારાથી ભારતનું આયાત બિલ 12 થી 15 અબજ ડોલર જેટલું વધી શકે છે.
ભાવ સ્થિર રહેતા વધ્યું દબાણ
ભારતમાં એક મોટી સમસ્યા એ છે કે પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ લાંબા સમયથી સ્થિર છે. સરકાર મોંઘવારીને અંકુશમાં રાખવા માટે કિંમતોમાં તાત્કાલિક વધારો કરવા દેતી નથી. પરિણામે, કાચું તેલ મોંઘું હોવા છતાં કંપનીઓએ જૂના ભાવે જ ઈંધણ વેચવું પડે છે. આ સ્થિતિમાં તેલ કંપનીઓનું માર્જિન ઘટી જાય છે અને તેમની રોકડ વ્યવસ્થા (Cash Flow) પર અસર પડે છે. રેટિંગ એજન્સીઓનું કહેવું છે કે જો વૈશ્વિક કિંમતો લાંબો સમય ઊંચી રહેશે, તો આ કંપનીઓના નફા અને નાણાકીય સ્થિતિ પર ગંભીર અસર પડી શકે છે.
શેરબજાર પર પણ અસર
તેલના ભાવમાં તેજીની અસર શેરબજારમાં પણ જોવા મળી છે. ક્રૂડ ઓઈલ વધતા ભારતીય ઓઈલ કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો છે. વિશ્લેષકોનું કહેવું છે કે જો આંતરરાષ્ટ્રીય કિંમતો સતત ઊંચી રહેશે અને સ્થાનિક સ્તરે ઈંધણના ભાવ નહીં વધે, તો કંપનીઓનો નફો નોંધપાત્ર રીતે ઘટી શકે છે.
નિષ્ણાતોના મતે, સરકાર સામે અત્યારે સંતુલન જાળવવાનું પડકાર છે. જો ઈંધણના ભાવ વધારવામાં આવે તો મોંઘવારી વધી શકે છે. જો ભાવ સ્થિર રાખવામાં આવે તો ઓઈલ કંપનીઓની ખોટ વધી શકે છે. આ સંજોગોમાં, આગામી સમયમાં સરકાર ટેક્સમાં કાપ, સબસિડી અથવા અન્ય નાણાકીય સહાય જેવા પગલાં લઈ શકે છે જેથી ઓઈલ કંપનીઓ પરનું આર્થિક દબાણ ઘટાડી શકાય.




















