સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને ઉજવવા માટે રાજ્યભરમાં “સરદાર@150” અંતર્ગત એકતા, રાષ્ટ્રીય અખંડિતતા અને સામાજિક જાગૃતિનો સંદેશ પહોંચાડતા અનેક વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોની શ્રેણી હેઠળ અમદાવાદ શહેરની તમામ વિધાનસભા બેઠકોમાં આજે 16 નવેમ્બરથી દરરોજ ભવ્ય યુનિટી માર્ચ યોજાઈ રહી છે.
વિરાટનગર વિસ્તારમાં યુનિટી માર્ચ
આ અવસર પર ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તથા નિકોલ વિધાનસભાના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં વિરાટનગર વિસ્તારમાં યુનિટી માર્ચ યોજાઈ. વિરાટનગર વોર્ડના ફુવારા સર્કલ પાસે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાની શરૂઆત કરવામાં આવી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ આ એકતા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો. સાંજે સાબરમતી વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
પદયાત્રા રાણીપના સરદાર ચોક પરથી પ્રારંભ થશે
આ પદયાત્રા રાણીપના સરદાર ચોક પરથી પ્રારંભ થશે અને સરદારબાગ, ન્યુ રાણીપ ખાતે સમાપન થશે. સાબરમતી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ડૉ. હર્ષદ પટેલની આગેવાનીમાં વિધાનસભાના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો આ યાત્રામાં જોડાશે. સરદાર@150 અંતર્ગત યોજાતી આ સર્વયાત્રાઓનો મુખ્ય હેતુ સરદાર સાહેબના એકતા, શિસ્ત અને રાષ્ટ્રીય સમર્પણના સંદેશને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે. યુનિટી માર્ચ દ્વારા લોકોમાં સામાજિક સૌહાર્દ, રાષ્ટ્રપ્રેમ અને એકતા અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
182 વિધાનસભામાં યુનિટી માર્ચ યોજાશે: વિશ્વકર્મા
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને લઈ ગુજરાતની તમામ 182 વિધાનસભામાં યુનિટી માર્ચ યોજાશે.





















