બાળકોને પીરસાનારા અનાજની ગુણવત્તા સામે સવાલ; ઘટનાની જાણ થતાં તપાસના આદેશ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નારણપુરા ગામની સરકારી શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ઉપયોગમાં લેવાતા ચોખામાં જીવાત જોવા મળતાં ચકચાર મચી છે. શાળામાં રાખવામાં આવેલી ચોખાની બોરીમાંથી જીવતી જીવાતો મળી આવતાં બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અને સલામતી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ મધ્યાહન ભોજન તૈયાર કરવા માટે રાખવામાં આવેલા ચોખાના જથ્થામાં મોટી સંખ્યામાં જીવાત જોવા મળી હતી. આ જ અનાજમાંથી બાળકો માટે ભોજન બનાવવામાં આવતું હોવાનો આક્ષેપ થતાં વાલીઓ અને ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. બાળકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું જોખમ ન લેવાય તેવી માંગ ઉઠી છે.
સ્થાનિકોઓ એ ઉઠાવ્યા સવાલ
સ્થાનિકોનું કહેવું છે કે શાળાઓમાં બાળકોને પૌષ્ટિક અને સ્વચ્છ ભોજન મળે તે માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. ત્યારે જો જીવાતયુક્ત અનાજનો ઉપયોગ થતો હોય તો તે ગંભીર બેદરકારી ગણાય. વાલીઓએ સવાલ ઉઠાવ્યો છે કે જો આવા અનાજમાંથી ભોજન બનાવી બાળકો બીમાર પડે તો તેની જવાબદારી કોણ લેશે?
ગ્રામજનોએ માંગ કરી છે કે સમગ્ર અનાજના જથ્થાની તપાસ કરવામાં આવે તેમજ જે અનાજ ઉપયોગ માટે અયોગ્ય હોય તેને તાત્કાલિક નષ્ટ કરીને તેના સ્થાને ગુણવત્તાયુક્ત અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવે.
તંત્રએ કાર્યવાહી હાથ ધરી
ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર હરકતમાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર અધિકારીઓએ સ્થળ પર પહોંચી ચોખાના જથ્થાની તપાસ શરૂ કરી છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અનાજના નમૂનાઓની તપાસ સહિત સમગ્ર મામલે હકીકતોની ચકાસણી કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસના અહેવાલના આધારે જો કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.





