સામાન્ય રીતે કોઈ પણ સજીવ માટે ઓક્સિજન એ જીવનનો આધાર છે. મનુષ્ય કે અન્ય પ્રાણીઓ શ્વાસ લીધા વિના થોડી મિનિટો પણ ટકી શકતા નથી. પરંતુ કુદરતે આ પૃથ્વી પર કેટલાક એવા જીવોનું સર્જન કર્યું છે જે વિજ્ઞાનના નિયમોને પણ પડકારે છે. આવો જ એક અનોખો અને રહસ્યમય જીવ છે વીંછી (Scorpion). વીંછી માત્ર તેના ઝેરી ડંખ માટે જ નહીં, પણ તેની અકલ્પનીય સહનશક્તિ માટે પણ જાણીતો છે.
વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર, વીંછી એક એવો જીવ છે જે 6 દિવસ સુધી શ્વાસ લીધા વિના જીવિત રહી શકે છે. એટલું જ નહીં, જો તેને આખું વર્ષ ખોરાક ન મળે તો પણ તે આસાનીથી ટકી જાય છે. તેની આ ક્ષમતા પાછળ તેના શરીરની અનોખી બનાવટ અને ધીમી ચયાપચયની પ્રક્રિયા (Metabolism) જવાબદાર છે. રણના કાળઝાળ તાપથી લઈને ગાઢ જંગલો અને પથરાળ વિસ્તારોમાં વીંછી કેવી રીતે પોતાની સત્તા જમાવી રાખે છે, ચાલો જાણીએ તેના અદ્ભૂત તથ્યો.
કેવી રીતે 6 દિવસ સુધી શ્વાસ રોકી રાખે છે વીંછી?
વીંછીની શ્વસન પ્રક્રિયા અન્ય પ્રાણીઓ કરતા તદ્દન અલગ છે. તેમના શરીરમાં ખાસ પ્રકારના અંગો હોય છે જેને 'બુક લંગ્સ' (Book Lungs) કહેવામાં આવે છે. આ ફેફસાં પુસ્તકના પાનાની જેમ એકબીજા પર ગોઠવાયેલી પ્લેટ જેવી રચના ધરાવે છે. આ રચનાને કારણે વીંછી તેના શરીરમાં હવાનો સંગ્રહ કરી શકે છે. જ્યારે બહારથી ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય, ત્યારે તે પોતાના શરીરમાં સંગ્રહાયેલી હવાનો ઉપયોગ કરીને સતત 6 દિવસ સુધી જીવિત રહી શકે છે.
1 વર્ષ સુધી ભોજન વિના ટકી રહેવાની શક્તિ
વીંછીનું ચયાપચય (Metabolism) અત્યંત ધીમું હોય છે. આ જ કારણ છે કે એકવાર શિકાર કર્યા પછી, તે લાંબા સમય સુધી ઊર્જા બચાવી શકે છે. તે તેને જરૂરી પાણીનો જથ્થો પણ તેના ખોરાકમાંથી જ મેળવી લે છે. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં, વીંછી પોતાના શરીરની પ્રવૃત્તિઓ ન્યૂનતમ સ્તરે લઈ જાય છે, જેનાથી તે ખોરાક અને પાણી વિના એક વર્ષ સુધી મોતને મ્હાત આપી શકે છે.
અલ્ટ્રાવાયોલેટ પ્રકાશમાં ચમકે છે વીંછીનું શરીર
વીંછીની બીજી એક રોમાંચક લાક્ષણિકતા તેની ફ્લોરોસન્ટ ત્વચા છે. જ્યારે રાત્રિના અંધકારમાં વીંછી પર અલ્ટ્રાવાયોલેટ (UV) પ્રકાશ પડે છે, ત્યારે તેનું શરીર તેજસ્વી રીતે ચમકવા લાગે છે. આ ગુણને કારણે જ વૈજ્ઞાનિકો અને સંશોધકો રાત્રિના સમયે યુવી લાઈટની મદદથી વીંછીઓને સરળતાથી શોધી કાઢે છે.

વિશ્વનો સૌથી ઘાતક: ભારતીય લાલ વીંછી
ભારતમાં જોવા મળતો 'ઇન્ડિયન રેડ સ્કોર્પિયન' (Indian Red Scorpion) દુનિયાના સૌથી ખતરનાક વીંછીઓમાંનો એક ગણાય છે. ભારત ઉપરાંત પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં જોવા મળતા આ વીંછીનો ડંખ અત્યંત ઝેરી અને જીવલેણ હોય છે. તેનું ઝેર સીધું ફેફસાં અને હૃદય પર અસર કરે છે, જે સમયસર સારવાર ન મળે તો મૃત્યુનું કારણ બની શકે છે.




















