Iran-Israel War: ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયેલના સૈન્ય અભિયાનનો આજે ચોથો દિવસ છે. સોમવારે રાત્રે ઈઝરાયેલી અને અમેરિકી દળોએ ઈરાનના વ્યૂહાત્મક ઠેકાણાઓ પર અનેક મિસાઈલો છોડી હતી. અમેરિકા અને ઈઝરાયેલની સેનાએ છેલ્લા ત્રણ દિવસમાં ઈરાન પર 2000થી વધુ બોમ્બ ઝીંક્યા છે, જેમાં અત્યાર સુધીમાં 600થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઈરાને પણ વળતો પ્રહાર કરતા સાઉદી અરેબિયાની તેલ રિફાઇનરીઓને નિશાન બનાવી છે, જેના કારણે વૈશ્વિક સ્તરે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ ખામેનીનું મૃત્યુ થયાના સમાચાર પણ સામે આવ્યા છે, જે ઈરાન માટે મોટો ફટકો માનવામાં આવે છે. બીજી તરફ, ઈરાને દાવો કર્યો છે કે, તેણે ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. યુદ્ધની આ ભયાનક સ્થિતિ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દુબઈ મોલમાં સામાન્ય લોકો વચ્ચે ફરતા જોવા મળ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઐતિહાસિક ધરોહર પર પ્રહાર: ગોલેસ્તાન પેલેસને નુકસાન
ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલો અને યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ 500 વર્ષ જૂનો 'ગોલેસ્તાન પેલેસ' પણ આ યુદ્ધની લપેટમાં આવ્યો છે. હુમલામાં આ ઐતિહાસિક મહેલના ભાગોને નુકસાન થયું હોવાના અહેવાલ છે. આ ઉપરાંત, સનંદજ શહેર પર થયેલા હુમલામાં બે નાગરિકોના મોત થયા છે. સેટેલાઇટ ઇમેજ અનુસાર, ઈરાનની નતાન્ઝ પરમાણુ સાઇટને પણ અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ભારે નુકસાન પહોંચ્યું છે.
સાઉદીની તેલ રિફાઇનરી અને ટેન્કર પર હુમલો
ઈરાને સાઉદી અરેબિયાની સરકારી તેલ કંપની 'સાઉદી અરામકો'ની મોટી તેલ રિફાઇનરી 'રાસ તનૂરા' પર હુમલો કર્યો છે. આ રિફાઇનરીની ઉત્પાદન ક્ષમતા દૈનિક 6 લાખ બેરલ છે, જેના પર હુમલા બાદ આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઉપરાંત, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં 'સ્કાયલાઇટ' નામના તેલ ટેન્કરને પણ ઈરાની દળોએ નિશાન બનાવતા તેમાં આગ લાગી ગઈ હતી.
ઇઝરાયેલનું 'આયર્ન બીમ' અને અમેરિકી વિમાનોમાં ટેકનિકલ ભૂલ
ઇઝરાયેલે હિઝબુલ્લાહના રોકેટોને રોકવા માટે પ્રથમ વખત પોતાની અત્યાધુનિક લેઝર એર ડિફેન્સ સિસ્ટમ 'આયર્ન બીમ'નો ઉપયોગ કર્યો છે. આ સિસ્ટમ હવામાં જ રોકેટ અને ડ્રોનને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. દરમિયાન, કુવૈતમાં એક વિચિત્ર ઘટના બની હતી જેમાં કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમે ભૂલથી અમેરિકાના 3 F-15E ફાઈટર જેટ્સને દુશ્મન સમજીને તોડી પાડ્યા હતા. સદનસીબે, તમામ અમેરિકી પાયલટોએ પેરાશૂટની મદદથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
UAEમાં હુમલા બાદ સ્થિતિ સામાન્ય કરવાનો પ્રયાસ
ઈરાની ડ્રોન હુમલાઓને કારણે દુબઈના પામ બીચ વિસ્તારમાં નુકસાન થયું હોવાનું સેટેલાઇટ તસવીરોમાં દેખાય છે. જોકે, દેશમાં ભયનો માહોલ ન ફેલાય તે માટે UAEના રાષ્ટ્રપતિ અને દુબઈના ક્રાઉન પ્રિન્સ દુબઈ મોલમાં લોકોની વચ્ચે ખરીદી કરતા જોવા મળ્યા હતા. આ દ્વારા તેઓ એવો સંદેશ આપવા માંગતા હતા કે દેશની સંરક્ષણ પ્રણાલી કોઈપણ ખતરાને પહોંચી વળવા સક્ષમ છે અને જનતાએ ગભરાવાની જરૂર નથી.



















