પુતિનના સૌથી વફાદાર 'જાસૂસ' નો અંત? સર્ગેઈ ઇવાનોવના મૃત્યુ પર રહસ્યનો પડદો; ક્રેમલિને કારણ જાહેર ન કર્યું
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) ના સૌથી જૂના મિત્ર, પૂર્વ સંરક્ષણ મંત્રી અને એક સમયે તેમના સંભવિત ઉત્તરાધિકારી માનવામાં આવતા 73 વર્ષીય સર્ગેઈ ઇવાનોવ (Sergei Ivanov) નું મોસ્કોમાં અવસાન થયું છે. પોતાની તેજ નજર અને કડક જાસૂસી નેટવર્કના કારણે સોવિયત રશિયાના મીડિયામાં 'સોવિયત જેમ્સ બોન્ડ' (Soviet James Bond) તરીકે જાણીતા ઇવાનોવના મોતથી રશિયન રાજકારણમાં અનેક ચર્ચાઓ જાગી છે. ક્રેમલિને (Kremlin) શુક્રવારે તેમના મોતના સમાચાર આપ્યા હતા, પરંતુ તેઓનું મૃત્યુ કયા કારણે થયું તે અંગે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરી નથી.
KGB ના દિવસોથી શરૂ થઈ હતી દોસ્તી
સર્ગેઈ ઇવાનોવના કરિયરમાં આવેલી અસાધારણ તેજી પાછળ પુતિન સાથેની તેમની 50 વર્ષ જૂની દોસ્તી જવાબદાર હતી. બંને નેતાઓ પ્રથમ વખત 1970 ના દાયકાના અંતમાં સોવિયત યુનિયનની ગુપ્તચર સંસ્થા KGB ના લેનિનગ્રાડ ડાયરેક્ટોરેટમાં યુવા અધિકારીઓ તરીકે મળ્યા હતા. ત્યારથી બંને વચ્ચે અત્યંત ગાઢ સંબંધો હતા. જ્યારે પુતિન પૂર્વ જર્મનીમાં તૈનાત હતા, ત્યારે ઇવાનોવે ફિનલેન્ડ અને કેન્યા જેવા દેશોમાં રશિયા માટે જાસૂસી કરી હતી.
સૌથી નાની ઉંમરે બન્યા હતા જનરલ
પત્રકાર મિખાઇલ ઝીગરે તેમના પુસ્તક 'ઓલ ધ ક્રેમલિન મેન્સ'માં સર્ગેઈ ઇવાનોવનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, "તેઓ એક આદર્શ સોવિયત જાસૂસ છે, જેમને તમે ભીડમાં અલગ તારવી ન શકો. તેઓ ફિલ્મ 'ધ મેટ્રિક્સ' ના એજન્ટ સ્મિથ જેવા દેખાય છે." 1990 ના દાયકામાં રશિયાની બે મુખ્ય જાસૂસી સંસ્થાઓ FSB અને SVR તેમને પોતાની ટીમમાં સામેલ કરવા હોડ લગાવી રહી હતી. ઇવાનોવ માત્ર 40 વર્ષની આસપાસની ઉંમરે SVR માં સૌથી યુવા જનરલ બન્યા હતા. બાદમાં, 1998 માં જ્યારે પુતિન FSB ના વડા બન્યા, ત્યારે તેમણે ઇવાનોવને પોતાના ડેપ્યુટી બનાવ્યા હતા.
પુતિનના ઉત્તરાધિકારી બનવાની રેસમાં કેમ પાછળ રહી ગયા?
પુતિન રાષ્ટ્રપતિ બન્યા બાદ ઇવાનોવે રશિયન સંરક્ષણ મંત્રી (2001 થી 2007) અને ક્રેમલિનના ચીફ ઓફ સ્ટાફ (2011 થી 2016) જેવા અત્યંત શક્તિશાળી પદો સંભાળ્યા હતા. 2008 માં જ્યારે પુતિનનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હતો, ત્યારે ઇવાનોવને રાષ્ટ્રપતિ પદના સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા.
પરંતુ, રશિયન વિશ્લેષકોના મતે, પુતિનને ડર હતો કે ઇવાનોવ વધુ પડતા મહત્વાકાંક્ષી છે અને સત્તા પર લાંબો સમય કબજો જમાવી શકે છે. આથી પુતિને પોતાના બીજા એક વફાદાર સહયોગી દિમિત્રી મેદવેદેવને સત્તા સોંપી હતી, જેથી 2012 માં પુતિન પોતે ફરી રાષ્ટ્રપતિ બની શકે.
મહત્ત્વ વગરના પદ પર મોકલાયા હતા
2016 માં ઇવાનોવને પર્યાવરણ અને પરિવહન માટેના રાષ્ટ્રપતિના વિશેષ દૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેને રશિયન મીડિયા એક 'સન્માનજનક નિવૃત્તિ' તરીકે જોતું હતું કારણ કે આ પદનું કોઈ રાજકીય મહત્વ નહોતું. તેમણે ફેબ્રુઆરી 2026 માં આ પદ પણ છોડી દીધું હતું. નોંધનીય છે કે યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા અને યુરોપિયન યુનિયન દ્વારા ઇવાનોવ પર પણ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હાલમાં, તેમના અચાનક થયેલા નિધન પર પુતિને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે, પરંતુ મોતનું રહસ્ય અકબંધ છે.





