Gujarat Public Universities Act, 2023: શૈક્ષણિક સંસ્થાઓમાં કામ કરતાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પ્રશ્નોના ઝડપી અને બિન ખર્ચાળ નિરાકરણ માટે ગુજરાતમાં ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એકટ-૨૦૦૬ અમલી છે. વર્ષ-૨૦૨૩માં, રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓને લગતાં જુદા-જુદા કાયદાઓને એકીકૃત કરી ‘Gujarat Public Universities Act, 2023’ અમલમાં મૂકતાં, યુનિવર્સિટીને લગતાં અલગ-અલગ એકટ રદ કરવામાં આવ્યા હતા.
વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર થયું વિધેયક
આ એક્ટ રદ થતાં તે તમામ યુનિવર્સિટી ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ અધિનિયમ, ૨૦૦૬ ના અધિકાર ક્ષેત્રમાંથી દૂર થયા હતા. જેથી તે તમામ યુનિવર્સિટીને ફરીથી ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ એકટના અધિકાર ક્ષેત્રમાં લાવવા માટે અને ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં ન્યાય, જવાબદારી અને કાર્યક્ષમતા વધારવા ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ (સુધારા) વિધેયક-૨૦૨૬ને આજે વિધાનસભા ગૃહમાં વિના વિરોધે પસાર કરવામાં આવ્યું છે.
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ આ વિધેયકનીમાં બીજી જોગવાઈઓ અંગે કહ્યું હતું કે કોઇ અન્ય યુનિવર્સિટીઓને ઉમેરવાની જરૂરિયાત હોય તો તે નોટિફિકેશન મારફત સરકાર તેમની સત્તાની રૂએ ઉમેરી શકે છે તે મુજબ જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ કોઇ યુનિવર્સિટીને રદ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય, તો તે સત્તા સરકાર પાસે ન હોઇ તે બાબતે પણ જોગવાઈ કરવામાં આવી છે.
સામાન્ય અદાલતો પરનો ભાર પણ ઓછો થશે
હવે રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામાથી, અનુસૂચિ-૧માં નિર્દિષ્ટ કરેલા રાજ્ય વિધાનમંડળના કોઇ અધિનિયમને બાકાત કરી શકશે. આ વિધેયકમાં યુનિવર્સિટીઓની સ્વાયત્તતાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. યુનિવર્સિટીઓને ટ્રિબ્યુનલના અધિકારક્ષેત્રમાં લાવવાથી સેવા સંબંધિત અને સંસ્થાકીય વિવાદોનું નિરાકરણ એક વિશેષ સંસ્થા દ્વારા ઝડપી અને અસરકારક રીતે થઈ શકશે. આ યુનિવર્સિટીઓને ટ્રિબ્યુનલના અધિકારક્ષેત્ર હેઠળ લાવવાથી નિર્ણયોમાં એકરૂપતા આવશે અને સામાન્ય અદાલતો પરનો ભાર પણ ઓછો થશે.
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે ટ્રિબ્યુનલમાં જવાથી એક ફાયદો એ પણ છે કે પક્ષકારો દ્વારા વકીલ રોકીને અથવા જાતે હાજર રહી રજૂઆત કરી શકાય છે. પ્રાથમિક થી શરૂ કરી યુનિવર્સિટી સુધીની સંસ્થાઓમાં કામગીરી કરતા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ માટે ઉચિત અને સમયસર ન્યાય મેળવવાનું ટ્રિબ્યુનલ એક ઉચિત માધ્યમ છે.
વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં શૈક્ષણિક ટ્રિબ્યુનલ દ્વારા કુલ ૩,૬૫૦ જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે અને જે અરજદારને લાભ મળવાપાત્ર હોય તેવા કિસ્સાઓમાં તેઓને લાભો ચૂકવી આપવાના હુકમો કરવામાં આવ્યા છે તેમજ જે કિસ્સામાં લાભ મળવાપાત્ર ન હોય તેવા કિસ્સામાં તેઓની અરજી રદ પણ કરવામાં આવી છે.






