Ahmedabad News: શહેરમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ અને અશુદ્ધિના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. ક્યારેક સંભારમાંથી મરેલો ઉંદર તો ક્યારેક આઈસ્ક્રીમમાંથી આંગળી નીકળવાની ઘટનાઓ બાદ હવે શહેરના પોશ વિસ્તાર ગણાતા સીજી રોડ પર આવેલી 'BEEKEY BEKARS' નામની જાણીતી બેકરી વિવાદમાં આવી છે. અહીંથી ખરીદવામાં આવેલી નાનખટાઈમાંથી જીવાત નીકળતા ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
ગાંધીનગર વિસ્તારમાં રહેતા મૌલિક પ્રજાપતિએ બે દિવસ પહેલા નવરંગપુરા, સીજી રોડ સ્થિત BEEKEY BEKARS માંથી નાનખટાઈ, ટોસ્ટ અને નટ બિસ્કીટની ખરીદી કરી હતી. બેકરી દ્વારા નાનખટાઈ છૂટક હોવાથી તેને પેક કરીને આપવામાં આવી હતી. જોકે, ઘરે જઈને જ્યારે પેકેટ ખોલવામાં આવ્યું ત્યારે દ્રશ્યો જોઈને પરિવાર ચોંકી ઉઠ્યો હતો. નાનખટાઈની અંદર અને ઉપર નાની-મોટી અનેક જીવાતો જોવા મળી હતી, જેમાં કેટલીક જીવતી હતી તો કેટલીક મૃત હાલતમાં હતી.
બાળકી અને મિત્રના સ્વાસ્થ્ય સાથે ચેડાં
ગ્રાહક મૌલિકભાઈના જણાવ્યા અનુસાર મારી નાની દીકરીએ આ નાનખટાઈ જોઈ હતી અને થોડી ખાઈ પણ લીધી હતી. આ ઉપરાંત, મારા મિત્રએ પણ આ જ બેકરીમાંથી નાનખટાઈ ખરીદી હતી. તેણે ત્રણ નાનખટાઈ ખાધા બાદ તેમાં જીવાત હોવાનું માલૂમ પડ્યું હતું. ગંદકીવાળી નાનખટાઈ ખાવાને કારણે મિત્રને સતત ઉલટીઓ થવા લાગી હતી. આ ઘટના બાદ ગભરાયેલા પરિવારે તાત્કાલિક ધોરણે તમામ નાનખટાઈ ફેંકી દીધી હતી અને સુરક્ષાના ભાગરૂપે તેનો વીડિયો અને ફોટા પણ લીધા હતા.
AMC ફૂડ વિભાગમાં ફરિયાદ
ખાણીપીણીની વસ્તુઓમાં જોવા મળેલી આ ગંભીર બેદરકારી બદલ ગ્રાહક દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગ અને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ઈમેલ મારફતે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગ્રાહકોની માંગ છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી આવી નામાંકિત બેકરીઓ સામે કડક તપાસ કરવામાં આવે અને જરૂરી પગલાં લેવામાં આવે.





