મોરબીના લગધીરપુર રોડ પર આવેલી સિરામિક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. લિવ–ઇન રિલેશનમાં રહેતા યુગલ વચ્ચે થયેલા ઝઘડામાં પ્રેમીએ પોતાની પ્રેમિકાની મો અને શરીરના ભાગે બચકા ભરી માર મારી હત્યા કરી નાખી હતી. જોકે પોલીસે તેની અટકાયત કર્યા બાદ થોડા જ સમયમાં આરોપીનું હાર્ટએટેકથી મોત થયા બાદ આ ઘટના વધુ ચકચારભરી બની છે.
મોરબીમાં લિવ–ઇન યુગલનો કરુણ અંત
લગધીરપુર ગામ નજીક આવેલી લેક્સેસ સિરામિક ફેક્ટરીમાં યુવતીની લાશ જોવા મળતાં તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. લેબર રૂમમાંથી મળેલી લાશની ઓળખ પુષ્પાબેન ગંભીરસિંહ મરાવી (ઉમર 20) તરીકે થઈ હતી, જે મૂળ મધ્યપ્રદેશની વતની હતી. તેમના શરીર પર અનેક ઇજાના નિશાન જોવા મળતાં પોલીસએ યુવતી સાથે લિવ–ઇનમાં રહેતા નરેન્દ્રસિંહ કમલસિંહ ધ્રુવેલની પૂછપરછ શરૂ કરી છે.
પ્રમિકાની હત્યા બાદ પ્રમિનું મોત
શરૂઆતમાં ગલ્લાતલ્લા કર્યા બાદ નરેન્દ્રસિંહે કબૂલ્યું કે સાંજે ઝઘડો થતાં તેણે પુષ્પાબેનને માર માર્યો હતો. કબૂલાત બાદ પોલીસે તેની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી તેને લોકઅપમાં મુક્યો હતો. જો કે, અટકાયત થયા બાદ થોડા જ સમયમાં વહેલી પરોઢે નરેન્દ્રસિંહને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. પોલીસે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ રસ્તામાં જ તેનું મૃત્યુ થયું.
પુષ્પાબેનને પટ્ટા અને લાકડીથી માર માર્યો હતો
ડીવાયએસપી દલવાડીએ જણાવ્યું કે, યુવક અને યુવતી મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને પરિવારની મંજૂરીથી છેલ્લા ત્રણ મહિનાથી મોરબીમાં રહી મજૂરી કામ કરતા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્પાબેનને પટ્ટા અને લાકડીથી થયેલી ઇજાઓને કારણે મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે નરેન્દ્રસિંહનું મોત હાર્ટએટેકથી થયું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે.





















