ઈતિહાસની તવારીખમાં 2 જાન્યુઆરીનો દિવસ ભારત માટે ગૌરવશાળી અને યાદગાર રહ્યો છે. વર્ષ 1954માં આજના દિવસે જ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' અને બીજા ક્રમના સર્વોચ્ચ સન્માન 'પદ્મ વિભૂષણ'ની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત, આજના દિવસે અનેક એવી વૈશ્વિક અને રાષ્ટ્રીય ઘટનાઓ બની છે જેણે ઈતિહાસમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
નાગરિક સન્માન અને સ્વાતંત્ર્ય સેનાનીનું યોગદાન
ભારત રત્ન એ દેશની ઉત્કૃષ્ટ સેવા બદલ અપાતો સર્વોચ્ચ પુરસ્કાર છે, જે સૌથી પ્રથમ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને એનાયત થયો હતો. પદ્મવિભૂષણ એ સૈન્ય સિવાયના ક્ષેત્રોમાં અસાધારણ સેવા બદલ આપવામાં આવે છે. આજના દિવસે જ જાણીતા મહિલા સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક ડૉ. રાધાભાઇની પુણ્યતિથિ પણ છે, જેમણે ગાંધીજીના આંદોલનોમાં સક્રિય ફાળો આપ્યો હતો.
વર્ષ 2020: ટેકનોલોજી અને સુરક્ષા ક્ષેત્રે મહત્વના પગલાં
ચંદ્રયાન-3: ભારત સરકારે આજના દિવસે વર્ષ 2020માં ચંદ્રયાન-3 મિશન માટે સત્તાવાર મંજૂરી આપી હતી.
CDS જનરલ બિપિન રાવત: ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે જનરલ બિપિન રાવતે નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને નમન કરી પદભાર સંભાળ્યો હતો.
MANI એપ: રિઝર્વ બેંકે દૃષ્ટિહીન લોકો ચલણી નોટો સરળતાથી ઓળખી શકે તે માટે મની (Mobile Aided Note Identifier) મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી હતી.
રેલવે હેલ્પલાઈન: ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે એકીકૃત હેલ્પલાઇન નંબર 139 ની જાહેરાત કરી હતી.
છેલ્લા બે દાયકાની મહત્વપૂર્ણ ઘટનાઓ
2010: સોમાલિયાના સમુદ્રી ચાંચિયાઓએ સિંગાપોરના 'MV પ્રમોની' જહાજને હાઇજેક કર્યું હતું, જે ગુજરાતના કંડલા બંદરે આવી રહ્યું હતું. આ જ દિવસે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે થયેલા ટ્રેન અકસ્માતોમાં અનેક મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા.
2009: સૌરભ ઘોષાલ સ્ક્વોશ રેન્કિંગમાં કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ ક્રમ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો હતો.
2002: આર્જેન્ટિનામાં રાજકીય અસ્થિરતા વચ્ચે 12 દિવસમાં પાંચમા રાષ્ટ્રપતિની વરણી થઈ અને દેશને નાદાર જાહેર કરાયો હતો.
ઐતિહાસિક અને સૈન્ય ઘટનાઓ
1973: જનરલ એસ. એચ. એફ. જે. માણેકશૉને તેમની અજોડ સેવા બદલ 'ફિલ્ડ માર્શલ'ના સર્વોચ્ચ પદથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
1899: સ્વામી વિવેકાનંદના આદેશાનુસાર સાધુઓએ કલકત્તાના બેલુર મઠમાં કાયમી વસવાટ શરૂ કર્યો હતો.
1757: રોબર્ટ ક્લાઈવે નવાબ સિરાજુદ્દૌલા પાસેથી કલકત્તા (કોલકાતા) પર ફરીથી વિજય મેળવી કબજો કર્યો હતો.
1942: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની દળોએ ફિલિપાઈન્સની રાજધાની મનીલા પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું હતું.





















