ભારતીય ઈતિહાસના પાનાઓમાં 11 Januaryની તારીખ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજના દિવસે જ ભારતમાતાના સપૂત અને સ્વતંત્ર ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું વર્ષ 1966 માં રશિયાના તાશ્કંદમાં નિધન થયું હતું. આ દિવસને તેમની પુણ્યતિથિ તરીકે આદરપૂર્વક યાદ કરવામાં આવે છે. આ ઉપરાંત, આજના દિવસને વિશ્વભરમાં 'રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ' (National Human Trafficking Awareness Day) તરીકે પણ ઉજવવામાં આવે છે. રમતગમતની વાત કરીએ તો, ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને 'ધ વોલ' તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડનો આજે જન્મદિવસ છે.
જહાંગીરની મંજૂરી અને સુરતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો પાયો
ઈતિહાસના પાના ફેરવીએ તો જાણવા મળે છે કે વર્ષ 1613 માં આજના દિવસે મુઘલ બાદશાહ જહાંગીરે ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સુરતમાં વેપારી ફેક્ટરી સ્થાપવાની સત્તાવાર મંજૂરી આપી હતી. આ ઘટનાએ ભારતના વ્યાપારી ઈતિહાસમાં મોટું પરિવર્તન આણ્યું હતું. બીજી તરફ, વર્ષ 1569 માં આજના દિવસે બ્રિટનમાં વિશ્વની સૌપ્રથમ લોટરીની શરૂઆત થઈ હતી. ભારતની સૌથી નાની વયની મહિલા જાસૂસ સરસ્વતી રાજામણિનો જન્મદિવસ પણ આજે જ છે.
21મી સદીની મહત્વપૂર્ણ ઘટનાઓ
2020: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં 'ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર' અને નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું.
2010: DRDO દ્વારા વિકસિત હવાથી હવામાં પ્રહાર કરતી 'એસ્ટ્રા' મિસાઈલનું ઓડિશાના બાલાસોરમાંથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
2010: દિલ્હી હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા જણાવ્યું કે ભારતના મુખ્ય ન્યાયાધીશની કચેરી પણ RTI (માહિતી અધિકાર) હેઠળ જવાબદાર રહેશે.
2009: સત્યમ કમ્પ્યુટર્સમાં ચાલી રહેલી કટોકટી વચ્ચે સરકારે કંપનીના સંચાલન માટે ત્રણ નામાંકિત સભ્યોની નિમણૂક કરી હતી.
વિશ્વ અને ભારતનો ભૂતકાળ
1999: ભારતમાં શહેરી જમીન મર્યાદા કાયદો રદ કરવામાં આવ્યો હતો, જે રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે મહત્વનો નિર્ણય હતો.
1962: પેરુમાં આવેલા ભયાનક હિમપ્રપાતના કારણે અંદાજે 3,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
1955: ભારતમાં ન્યૂઝપ્રિન્ટ પેપર (છાપાના કાગળ) ના ઉત્પાદનની શરૂઆત આજના દિવસે જ થઈ હતી.
1942: બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાની સૈન્યએ કુઆલાલંપુર પર કબજો જમાવ્યો હતો.





















