અમદાવાદમાં ફરી એકવાર ધમકીનો સિલિસિલો જોવા મળ્યો છે. શહેરની જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો. માહિતી મુજબ સંત કબીર સ્કૂલની ત્રણ અલગ-અલગ બ્રાન્ચ, DPS સહિત કુલ 7 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર અને શાળા સંચાલનો તાત્કાલિક સક્રિય બન્યા હતા.
પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડથી તપાસ
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓમાં પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડને મોકલવામાં આવ્યા હતા. દરેક શાળામાં બારીકાઈપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી કોઈપણ પ્રકારની અણધારી ઘટના ટાળી શકાય. આ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે વાલીઓમાં ચિંતા ફેલાઈ હતી અને ઘણા વાલીઓ પોતાના બાળકોને લેવા માટે શાળાએ પહોંચ્યા હતા.
પોલીસ તપાસ તેજ
પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલ તમામ શાળાઓમાં સઘન તપાસ ચાલી રહી છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા દરેક સંભવિત ખૂણાની તપાસ કરવામાં આવી રહી છે, જેથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે. હાલમાં પોલીસ તંત્ર દ્વારા લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
કઈ કઈ સ્કૂલોને ધમકી મળી
સેન્ટ ઝેવિયર્સ, મેમનગર
કેલોરેક્ષ સ્કૂલ, ઘાટલોડિયા
DPS સ્કૂલ, બોપલ
સ્વયંમ સ્કૂલ
સંત કબીર સ્કૂલની ૩ બ્રાન્ચ
'ધમકીઓ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી'
સ્કૂલને ધમકીભર્યા ઇમેલ મળવા બાબતે AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આકારા પ્રહાર કર્યા છે કે, 'ગુજરાતમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. કાયદો-વ્યવસ્થા ખાડે ગઇ છે, બાળકોને સ્કૂલે મોકલતા વાલીઓ ડરે છે. ભાજપે ગુજરાતને જંગલરાજમાં ફેરવી નાખ્યું છે, સરકાર ચલાવી રહ્યા છે કે સર્કસ ?, આમ આદમી પાર્ટીના નેતાઓની ઘરે પોલીસ પહોંચાડી દો છો, અહીંયા તમારી પોલીસ કેમ પહોંચતી નથી ?, કાયદો વ્યવસ્થા સંભાળી ન શકતા હોય તો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઇએ'





















