2026 માં યોજાનાર T20 વર્લ્ડ કપ અને તે પહેલાં જાન્યુઆરી 2026 માં રમાનારી પાંચ મેચની T20I સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCI ના સચિવ દેવજીત સૈકિયાએ 20 ડિસેમ્બર, શનિવારે બપોરે ટીમની જાહેરાત કરી હતી, જેનું સિલેક્શન સિલેક્ટર્સ અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે મળીને કરી હતી. ટીમની જાહેરાત પછી, કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ચીફ સિલેક્ટર અજિત અગરકરે એક પ્રેસ કોન્ફરન્સ કરી. પરંતુ આ સિલેક્શનના પાંચ મુખ્ય મુદ્દાઓએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.
ગિલ બહાર
શુભમન ગિલ, જે છેલ્લી બે T20 સીરિઝ અને તે પહેલાં T20 એશિયા કપમાં ભારતની T20 ટીમનો વાઇસ-કેપ્ટન હતો, તે T20 વર્લ્ડ કપ 2026 ટીમનો ભાગ નથી. શુભમન ગિલને તેના ખરાબ ફોર્મને કારણે તેની પાસેથી વાઇસ-કેપ્ટનનું પદ અને ટીમમાંથી બહાર કર્યો છે.
અક્ષર પટેલ વાઇસ-કેપ્ટન
અક્ષર પટેલ T20 એશિયા કપ 2025 પહેલા ભારતની T20 ટીમના વાઇસ-કેપ્ટન હતો, અને હવે તે T20 વર્લ્ડ કપ 2026 માટે પણ વાઇસ-કેપ્ટન છે, કારણ કે, શુભમન ગિલ બહાર છે. અક્ષર પટેલ બીમારીને કારણે સાઉથ આફ્રિકા સામેની અંતિમ મેચો ચૂકી ગયો હતો, પરંતુ તે આગામી સીરિઝ અને T20 વર્લ્ડ કપ માટે ફિટ રહેશે.
ઇશાનની વાપસી
જીતેશ શર્મા એશિયા કપ 2025 પછી મોટાભાગની મેચોમાં ટીમ ઈન્ડિયા માટે વિકેટકીપર રહ્યો છે, પરંતુ તે હવે 2026 ના T20 વર્લ્ડ કપ માટે ટીમમાં નથી. સિલેક્ટર્સએ ઇશાન કિશન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જે ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે. ઇશાન કિશનને ઘણા વર્ષો પછી ટીમમાં ફરીથી સામેલ કરવામાં આવ્યો છે.
ફિનિશર રિંકુ સિંહની પણ વાપસી
સાઉથ આફ્રિકા સામેની T20 સીરિઝ માટે રિંકુ સિંહનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો, પરંતુ નવા કોમ્બિનેશન અજમાવવા માટે, સિલેક્ટર્સ તેમને T20 વર્લ્ડ કપ 2026 માટે પસંદ કર્યો છે. જીતેશ શર્માના સ્થાને તેમને તક આપવામાં આવી છે કારણ કે, તે એક શાનદાર ફિનિશર છે.
જીતેશ શર્મા બહાર
વિકેટકીપર જીતેશ શર્માનો T20 વર્લ્ડ કપ 2026 અને ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 સીરિઝ માટે પસંદ કરાયેલી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તેને ફિનિશર અને વિકેટકીપર તરીકે થોડી તકો મળી હતી, જ્યાં તેને સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ કોમ્બિનેશનને કારણે તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. સંજુ સેમસન ફર્સ્ટ વિકેટકીપર હશે. જો તે ઉપલબ્ધ ન હોય, તો ઇશાન કિશન બીજા વિકેટકીપર-ઓપનર હશે.





















