નવસારીના વિજલપુરમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં, આજે સવારે 9 વાગ્યે સુરત મનપાના અધિકારીનો 5 વર્ષીય પુત્ર સાર્થક નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટની લિફ્ટમાં ફસાઈ ગયો હતો, જેથી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી અને કટર વડે લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢ્યું હતું. પરંતુ બાળકનો જીવ ન બચાવી શક્યા.
માતા દરવાજો બંધ કરતી હતી, બાળક લીફ્ટે પહોંચ્યું
હકીકતમાં નવસારીના નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં બાળકની માતા દરવાજામાં લોક લગાવી રહી હતી. આ દરમિયાન બાળકે બીજા માળેથી લિફ્ટ ચાલુ કરી દીધી અને લિફ્ટમાં ફસાઈ ગયો હતો. જેથી બાળકને બચાવવા માટે નવસારી ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચીને કટર વડે લિફ્ટને કાપી અને બાળકને બહાર કાઢ્યું.
સુરત મનપાના અધિકારીનો દીકરો
બાળકને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું. મૃતક બાળકના પિતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે.
કેવી રીતે ફસાયું બાળક?
નીરવ એપાર્ટમેન્ટમાં વર્ષો જૂની લોખંડની જાળીવાળી લિફ્ટ છે, જેની આગળ લાકડાનો દરવાજો છે. બાળકે લાકડાનો દરવાજો ખોલી અંદર જવા ગયો, ત્યારે દરવાજાનો તેને ધક્કો લાગ્યો અને લિફ્ટ અંદરની લોખંડની જાળી બંધ થાય એ પહેલા જ લિફ્ટ શરૂ થઈ ગઈ હતી અને ઉપર તરફ જવા લાગી હતી. એના કારણે બાળકનો કમરનો ભાગ બહાર અને શરીર લિફ્ટની અંદર ફસાઈ ગયું હતું. પ્રત્યક્ષદર્શીનું માનવું છે કે લિફ્ટમાં સેન્સર યોગ્ય રીતે કામ ન કરતું હોવાને કારણે કદાચ કોઈએ ઉપરના માળે લિફ્ટનું બટન દબાવ્યું હશે, જેના કારણે લિફ્ટ ચાલુ થઈ ગઈ અને અકસ્માતની ઘટના બની.




















