તમને જાણીને નવાઇ લાગશે કે અમેરિકા દ્વારા કેદ કરાયેલા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પ્રસિદ્ધ ભારતીય સંત સત્ય સાંઇબાબાના પરમ ભક્ત છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની કહાની કંઇ ઓછી ફિલ્મી નથી. નિકોલસ માદુરો એક સમયે વેનેઝુએલામાં એક સરળ બસ ડ્રાઇવર હતા, જ્યાંથી તેઓ દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા.
ભારતના પુટ્ટપર્થીના પ્રખ્યાત સ્વર્ગસ્થ સંત સત્ય સાઈ બાબા પ્રત્યે માદુરોની આસ્થા આશ્ચર્યજનક એટલા માટે છે કારણ કે નિકોલસ માદુરો જન્મથી ખ્રિસ્તી છે. તેમનો ઉછેર કેથોલિક પરિવારમાં થયો હતો. તેમની સત્ય સાંઇબાબા પાછળની આસ્થાને લઇને એવું કહેવાય છે કે તેઓ તેમની પત્ની સિલિયા ફ્લોરેસ દ્વારા સત્ય સાઈ બાબાના પરમ ભક્ત બન્યા. સિલિયા ફ્લોરેસ એક વકીલ અને રાજકારણી છે. માદુરો સાથે લગ્ન કર્યાના ઘણા સમય પહેલા જ તે સત્ય સાઈ બાબાની ભક્ત બની ગઈ હતી.
20 વર્ષ પહેલા સત્ય સાઈ બાબાને મળ્યા
ફ્લોરેસ તેમના લગ્નના ઘણા સમય પહેલા, 2005માં સત્ય સાઈ બાબાને મળવા માટે માદુરોને ભારત લાવ્યા હતા. તે સમયે, ફ્લોરેસ પૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝના વકીલ હતા, અને માદુરો એસેમ્બલીના સ્પીકર હતા. જ્યારે માદુરોને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, ત્યારે ફ્લોરેસએ સ્પીકર તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
બાબાનો ફોટો પણ માદુરોની ઓફિસમાં પ્રદર્શિત
ફ્લોરેસ-માદુરોની ભારત મુલાકાતના ફોટોગ્રાફ્સમાં તેઓ સાઈ બાબાના ચરણોમાં બેઠેલા દેખાય છે. તેમણે બાબા સાથે ખાનગી મુલાકાત કરી હતી. કરાકાસમાં રાષ્ટ્રપતિ મહેલમાં માદુરોની ખાનગી ઓફિસમાં સાઈ બાબાનો એક મોટો ફ્રેમવાળો ફોટો પણ જોવા મળે છે. આ ફોટો સિમોન બોલિવર અને તેમના પુરોગામી હ્યુગો ચાવેઝ જેવા વેનેઝુએલાના ક્રાંતિકારી વ્યક્તિઓના ફોટા સાથે પ્રદર્શિત થાય છે.
વેનેઝુએલાએ તેમના મૃત્યુ પર શોક ઠરાવ પસાર કર્યો
એપ્રિલ 2011 માં જ્યારે સત્ય સાઈ બાબાનું અવસાન થયું, ત્યારે માદુરો, જે તે સમયે ચાવેઝ સરકારમાં વિદેશ મંત્રી હતા, તેમણે વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાને સત્તાવાર શોક ઠરાવ પસાર કરાવ્યો હતો. વેનેઝુએલાએ ગુરુના "માનવતામાં આધ્યાત્મિક યોગદાન" ને માન આપવા માટે રાષ્ટ્રીય શોકનો દિવસ જાહેર કર્યો હતો. તેમણે તેમના ઘણા ભાષણોમાં સત્ય સાઈ બાબા અને ભારતની આધ્યાત્મિક ઓળખની પણ પ્રશંસા કરેલી છે.
માત્ર નિકોલસ માદુરો અને તેમના પત્ની જ નહીં પરંતુ વેનેઝુએલાની સરકારના ઘણા મંત્રીઓ પણ સત્ય સાંઇબાબાના ભક્ત છે.કપાયા રોડ્રીગીઝ કે જેઓ હાલ ભારતમાં વેનેઝુએલાના એમ્બેસેડર છે, તેઓ પણ સત્ય સાંઇબાબાના ભક્ત છે,તેમની નિયુક્તિ ભારતમાં વેનેઝુએલાના એમ્બેસેડર તરીકે થઇ તે પહેલા તેઓ વેનેઝુએલામાં સત્ય સાંઇબાબાની એક સંસ્થાના હેડ હતા. એટલું જ નહીંં ડેલ્સી રોડ્રીગીઝ છે કે જેમને ટ્રમ્પે વેનેઝુએલાના નવા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવા લીલીઝંડી આપી છે, તેઓ પણ સત્ય સાંઇબાબામાં આસ્થા ધરાવે છે. આ બધા પરથી કહી શકાય કે ટ્રમ્પ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ તો બદલી શકશે પરંતુ ત્યાંના લોકોમાં રહેલી સત્ય સાંઇબાબા પ્રત્યેની આસ્થાને નહીં બદલી શકે .





















