સુરતમાં માથાભારે વ્યાજખોર તરીકે કુખ્યાત ચિરાગ ગોટીનો પોલીસ દ્વારા જાહેર વરઘોડો કાઢવામાં આવ્યો હતો. શહેરના ઈતિહાસમાં આ સૌથી મોટો ‘ગુનેગાર વરઘોડો’ ગણાઈ રહ્યો છે. સુરત શહેર SOGની ટીમે સિંગણપોર વિસ્તારમાં ચિરાગનું સરઘસ કાઢ્યું હતું.
ઢોલ-નગારા સાથે ચિરાગનો વરઘોડો
ફાટેલા કપડાંમાં અને બે હાથ જોડતા ચિરાગ ગોટીને પોલીસ કડક બંદોબસ્ત વચ્ચે લઈ જઈ રહી હતી. ઢોલ-નગારા સાથે નીકળેલા આ વરઘોડાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટ્યા હતા. અનેક લોકોએ પ્લેકાર્ડ લઈને પોલીસની કાર્યવાહીનું સ્વાગત કર્યું અને ગુનેગાર સામે કડક પગલાં ભરવા માગ કરી.
વ્યાજે રૂપિયા આપી ચાર ગણા પડાવતો
માહિતી મુજબ ચિરાગ ગોટી લોકો સાથે અમાનવીય વર્તન કરતો હતો. વ્યાજે રૂપિયા આપી ચાર ગણો વસૂલતો હતો અને દેવામાં ફસાયેલા લોકોને ધમકી આપતો હોવાના આક્ષેપો છે. તેની વિરુદ્ધ અનેક ફરિયાદો મળ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જાહેર રસ્તા પર ઉતરેલા લોકોએ પોલીસને બિરદાવતાં ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની માગ ઉઠાવી હતી. લોકોમાં આક્રોશ સાથે સાથે રાહતની લાગણી પણ જોવા મળી હતી. પોલીસ દ્વારા આ કાર્યવાહીથી સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે કાયદાથી ઉપર કોઈ નથી અને ગુનાખોરી સામે કડક વલણ અપનાવવામાં આવશે.




















