ગુજરાત કોંગ્રેસમાં આતંરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. એક તરફ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને બીજી તરફ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી શાબ્દિક સામ સામે આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના બે ધારાસભ્ય આમને સામને આવતા હવે ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપના ભણકારા જોવા મળી રહ્યા છે. જિગ્નેશ મેવાણીએ કિરીટ પટેલનું નામ લીધા વિના એવું પણ કહ્યું કે, તારા જેવા ચણાનું એક ફુદ્દું પણ નહીં આવે. તો બીજી તરફ કિરીટ પટેલે પ્રહાર કરતા કહ્યું કે, 'તેઓ અસ્વસ્થ છે'.
"જેને પણ મનમાં ફાંકો હોય એ કાઢી નાંખજો": જિગ્નેશ મેવાણી
જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, 'જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર માર મારીશું તો ફાંકો કાઢી નાંખજો. તારા જેવા ચણાનો તો ફુદ્દુ પણ નહીં આવે'. કિરીટ પટેલનું નામ લીધા વિના જિગ્નેશ મેવાણીએ વાક પ્રહાર કર્યો હતો.
"માનસિક અસ્વસ્થ નેતાને બફાટની આદત છે": કિરીટ પટેલ
કિરીટ પટેલે કહ્યું કે, 'આ એક સામાજિક કાર્યક્રમમાં આપેલું નિવેદન છે. ઘણાં લોકોને બફાટ કરવાની ટેવ હોય છે. સમાજ સમાજ વચ્ચે વિગ્રહ કરાવવાની વાત સાથે અમે સહમત નથી. પોતાની જાતને રાષ્ટ્રિય નેતા ગણાવતા નેતાઓ સાથે પાંચ પચ્ચીસ માણસો પણ નથી. આ લોકો માનસિક રીતે હવાતિયા મારતા લોકો હવાતિયા મારે એનો અમારે જવાબ આપવાનો ના હોય'.
'માનસિક રીત સ્વસ્થ ન હોય એવા લોકો ગમે તેવા નિવેદનો આપે'
કિરીટ પટેલે વધુમાં કહ્યું કે, 'પાટણમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમમાં આવે તાકાત હોય તો. આવા લોકો કોંગ્રેસ પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યાં છે. માનસિક રીત સ્વસ્થ ન હોય એવા લોકો ગમે તેવા નિવેદનો આપે તેમની સામે અમારે કંઈ કહેવાનું ના હોય. વચ્ચે ગૃહ મંત્રી વિશે પણ ગમે તેવા નિવેદનો આપેલાં. ગમે તેવો બફાટ કરીને મીડિયામાં ચર્ચામાં રહેવા માંગે છે. કોઈ હાઈકમાન્ડ સુધી અમારે કોઈ વાત પહોંચાડવાની જરૂર નથી. હાઈકમાન્ડને ખબર પડે કે આવા લોકોને રમતા મુકીને પાર્ટીને કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે'.
કિરીટ પટેલના સમર્થનમાં આવ્યાં પાટીદાર આગેવાન દિનેશ ભાંભણીયા
પાટીદાર નેતા દિનેશ બાંભણીયા કિરીટ પટેલના સમર્થનમાં આવ્યાં છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે, કિરીટ પટેલ એક ખૂબ મજબુત સામાજિક અને સરકાર સામે લડતા આગેવાન અને અમારા જ સાથી છે. પોતાના અસ્તિત્વ માટે લડાઈ કરતા નેતાનો સામાજિક વર્ગ વિગ્રહ કરવાનો પ્રયાસ કયારેય સફળ નહીં થાય. અહમમાં મર્યાદા ના ભૂલશો. તમામ સમાજના લોકો કિરીટ પટેલની દરેક સ્થિતિમાં સાથે છે'.
કોંગ્રેસના બે મોટા ગજના નેતાઓ વચ્ચે વિખવાદ!
રાહુલ ગાંધીએ ગુજરાત આવીને જ્યારથી ગુજરાત કોંગ્રેસમાં લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ છે એવું નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર આવી ગયો છે. બીજી તરફ પોતાના તરફી માહોલ ઉભો કરવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્યભરમાં જનઆક્રોશ યાત્રા કાઢી હતી. ત્યારે કોંગ્રેસના બે મોટા ગજના નેતા અને બે અલગ અલગ સમાજના નેતાઓ વચ્ચેનો વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે.
ગુજરાત કોંગ્રેસ વેન્ટિલેટર પર છે: ભાજપ
કોંગ્રેસના કિરીટ પટેલ અને જીજ્ઞેશ મેવાણી વચ્ચે ચલતા વિવાદ અંગે ભાજપ પ્રવકતા ડો. અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, 'ગુજરાત કોંગ્રેસ વેન્ટિલેટર પર છે, હાલ કોંગ્રેસના ધારાસભ્ય ક્રિકેટ ટીમ કરતા પણ ઓછા છે અને પ્રજા કે રાષ્ટ્રના વિષય પર ચિંતા નહીં પરતું અંદરોદર વિવાદ નીતિ રિતી છે. ગુજરાતની પ્રજા હવે આવનાર સમયમાં કોંગ્રેસને જાકારો આપશે અને કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરે છે'





















