ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા પ્રતિબંધિત આતંકી સંગઠનો સાથે જોડાયેલી કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત એક આતંકવાદીને ATSએ નવસારીમાંથી ઝડપી લીધો છે. તારીખ 25 જાન્યુઆરી 2026ના રોજ ગુજરાત ATSએ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી એક શંકાસ્પદ યુવકની ધરપકડ કરી હતી.
આતંકવાદીને ATSએ નવસારીથી ઝડપ્યો
પકડાયેલ આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે. ફૈઝાન શેખ મૂળ ઉત્તરપ્રદેશના રામપુર જિલ્લાના નરપત નગરના ડુંડાવાલા વિસ્તારનો રહેવાસી છે અને હાલ નવસારીમાં રહેતો હતો. ATSની તપાસમાં ખુલાસો થયો છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો હતો.
આતંકી સંગઠનોની વિચારધારા
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આ આતંકી સંગઠનોની વિચારધારા અપનાવ્યા બાદ ફૈઝાન શેખે ગેરકાયદેસર રીતે હથિયાર અને દારૂગોળો મેળવ્યો હતો. આરોપીનો ઇરાદો આતંક અને ભય ફેલાવવાનો તેમજ કેટલાક વ્યક્તિઓની હત્યા કરીને ગંભીર ગુનાહિત કૃત્યોને અંજામ આપવાનો હતો. ATSએ તેની પાસેથી હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે. હાલ ATS એ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને તેની સાથે જોડાયેલા અન્ય લોકો તથા નેટવર્ક અંગે પણ તપાસ ચાલુ છે.





















