પહેલગામ આતંકી હુમલા બાદ PM મોદીએ મોટો નિર્ણય લીધો છે. PMએ સાઉદી અરેબિયાથી પરત ફરતી વખતે પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કર્યો ન હતો. પહેલગામ આતંકી હુમલા બાદ પીએમ મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડીને સ્વદેશ પરત ફર્યા છે. તેઓ મંગળવારે સવારે બે દિવસની મુલાકાતે સાઉદી અરેબિયા જવા રવાના થયા હતા. જમ્મુ-કાશ્મીરની બૈસારન ઘાટીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 27 પ્રવાસીઓ માર્યા ગયા હતા. જ્યારે 17 પ્રવાસીઓ ઘાયલ થયા હતા.
ગુપ્તચરોએ આપી હતી આ સલાહ
હુમલાની જાણકારી મળતા જ પીએમ મોદીએ તેમનો પ્રવાસ અધવચ્ચે જ ખતમ કરી દીધો અને દિલ્હી જવા રવાના થઈ ગયા. પરત ફરતી વખતે પીએમના વિમાન બોઇંગ 777-300એ પાકિસ્તાની એરસ્પેસનો ઉપયોગ કર્યો ન હતો. જતી વખતે તેમનું વિમાન પાકિસ્તાન ઉપરથી પસાર થયું હતું. સૂત્રોનું માનીએ તો ગુપ્તચર તંત્રની સલાહ પર હુમલા બાદ પીએમ મોદીના વિમાનનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ ભારત પરત ફરતી વખતે ઓમાનની એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. આ પછી તેમનું વિમાન ગુજરાત બોર્ડરથી ભારતમાં પ્રવેશ્યું અને રાજસ્થાન થઈને દિલ્હીમાં પ્રવેશ્યું.
અધિકારીઓ સાથે બેઠક
દિલ્હીથી પરત ફર્યા બાદ પીએમ એરપોર્ટ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પાસેથી હુમલા અંગે જરૂરી માહિતી લીધી હતી. આ પછી તેઓ સીધા પીએમઓ માટે રવાના થયા. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ આજે શ્રીનગરમાં છે. તેમણે હુમલામાં માર્યા ગયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને ઘટના સ્થળની મુલાકાત પણ લીધી હતી. તે જ સમયે, સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠક યોજાશે. અમિત શાહ શ્રીનગરથી પરત ફર્યા બાદ આ બેઠક યોજાશે.






