અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા અમરનાથ એસ્ટેટમાં ગુરુવારે ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. સંવિધાન સર્કલ નજીક આવેલા એક અગરબત્તી કારખાનામાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની કુલ 10 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને લાંબા સમય સુધી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો
આગ લાગતા કારખાનામાંથી ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊઠતા નજરે પડ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગના કારણે કારખાનામાં ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ અત્યાર સુધી પ્રાપ્ત થયા નથી.
આગ લાગવાના કારણ હજુ અકબંધ!
આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. હાલ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આગ પર કાબૂ મળ્યા બાદ નુકસાનનો સાચો આંક જાણવા મળશે.




















