ગુજરાતના અમદાવાદની દેશની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલના ICU વોર્ડમાં દાખલ દર્દીની સારવાર કરતા કથિત તાંત્રિકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી હોવા છતાં કોઈ તાંત્રિક હોસ્પિટલના ICU વોર્ડમાં કેવી રીતે પહોંચી શકે? આ વાયરલ વીડિયો જોયા બાદ ગુજરાતના આરોગ્ય મંત્રીએ અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને તાંત્રિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
અંધશ્રદ્ધા અંગે પ્રશ્નો ઉઠાવ્યા
18 નવેમ્બરના રોજ કથિત ભુવાજી @mukesh_bhuvaji_ ના ઈન્સ્ટાગ્રામ આઈડી પર એક રીલ શેર કરવામાં આવી હતી, જે હવે વાયરલ થઈ રહી છે. આ વાયરલ વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, 'નિકોલના મુકેશ ભુવાજીની માં ખોડિયારનો ચમત્કાર, ICUમાંથી બહાર, મળ્યું નવું જીવન'. આ વાયરલ વીડિયોને જોઈને લોકો આસ્થા અને અંધશ્રદ્ધા પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. હૉસ્પિટલના ICU વોર્ડમાં વેન્ટીલેટર પર રહેલા દર્દીની સારવાર તબીબો દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે કોઈ તાંત્રિક તંત્ર-મંત્ર કરીને દર્દીને સાજા કરવાનો દાવો કેવી રીતે કરી શકે.
દર્દીના ઘરે ભુવાજીનું ભવ્ય સ્વાગત
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, કથિત તાંત્રિક મોં પર માસ્ક પહેરીને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં પ્રવેશે છે. તે હૉસ્પિટલના ICU વોર્ડમાં વેન્ટિલેટર પર જોવા મળેલા દર્દી સુધી પહોંચે છે. તાંત્રિકના હાથમાં કંઈક દેખાઈ રહ્યું છે. તે કેટલાક મંત્રોચ્ચાર કરે છે અને તેના કપાળને હાથ ફેરવી છે. એટલું જ નહીં, જ્યારે દર્દી સાજો થઈને ઘરે પરત ફરે છે, ત્યારે ભુવાજીનું દર્દીના પરિવાર દ્વારા ઘરે ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. જે માર્ગ પરથી તાંત્રિક ઘરે પહોંચે છે તે માર્ગ પર ફૂલો પાથરવામાં આવે છે, તેની આરતી કરીને ગળામાં હાર પહેરાવીને તેનું સન્માન કરવામાં આવે છે. વીડિયોના અંતમાં દંપતિ હાથ જોડીને કહી રહ્યું છે, 'મુકેશ ભુવાજીની કૃપાથી મારા પતિ સ્વસ્થ થઈ ગયા છે.'
એશિયાની સૌથી મોટી હોસ્પિટલોમાં દર્દી પર તાંત્રિક વિધિ?
નોંધનિય કે અમદાવાદની સિવિલ હૉસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલોમાંની એક છે. જેના દરેક ગેટ પર સુરક્ષાકર્મીઓ અને CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ એવા બોર્ડ લગાવવામાં આવ્યા છે કે હૉસ્પિટલમાં ફોટોગ્રાફ કે વીડિયો બનાવવા પર પ્રતિબંધ છે. સિક્યોરિટી સ્ટાફ પણ સામાન્ય લોકોને અંદર પ્રવેશ આપતા નથી, આવી સ્થિતિમાં એક તાંત્રિક CCTV કેમેરાથી બચીને હૉસ્પિટલમાં કેવી રીતે પ્રવેશ કરે છે અને અંદર પ્રવેશે ત્યારથી જ આખો વીડિયો પણ બનાવે છે.
વાયરલ વીડિયો મામલે તપાસના આદેશ
અમદાવાદની સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં તાંત્રિક દ્વારા કરવામાં આવતી તાંત્રિક વિધિ અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો જોયા બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે તાંત્રિક ભુવાજી દર્દીના સગા તરીકે ઓળખાતા દર્દી સુધી પહોંચ્યો હતો. હોસ્પિટલનો પ્રવેશ પાસ તેના પરિવારને આપવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં લગાવવામાં આવેલા પડદા અને પ્રાઈવસીનો લાભ લઈને તાંત્રિકે વીડિયો બનાવ્યો છે. તે સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે, વીડિયોમાં દેખાતો દર્દી સાજો થઈ રહ્યો છે. તેથી, કોઈ તાંત્રિકે કોઈક તંત્ર મંત્રથી દર્દીને સાજો કર્યો એવું કહેવું કે સમજવું એ માત્ર અંધશ્રદ્ધાની વાત છે. જો કે વાયરલ વીડિયો મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ રીતે આઈસીયુ વોર્ડમાં ફરી કોઈ દર્દી પાસે જઈને તંત્ર મંત્રનો જાપ ન કરે તેની કાળજી રાખવામાં આવશે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






