Home National Swiss Aircraft Smoke Igi Airport Emergency Landing Delhi

દિલ્હી IGI એરપોર્ટ પર સ્વિસ એર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ! : લેન્ડિંગ કરતાં અનેક મુસાફરો ઘાયલ

Delhi Airport
Image Credit: Twitter
Published by: Aryan Shah
Last Updated: Apr 26, 2026, 07:11 AM IST

Delhi : દેશની રાજધાની દિલ્હીમાં આવેલ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (IGI) એરપોર્ટ પર રવિવારે વહેલી સવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. ઝુરિચ જઈ રહેલા સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ દરમિયાન અચાનક ધુમાડો જોવા મળતા હલચલ મચી ગઈ હતી. પાયલોટની સમયસૂચકતા અને એરપોર્ટ પ્રશાસનની ત્વરિત કાર્યવાહીને કારણે વિમાનમાં સવાર તમામ 232 લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે. જોકે, ઇમરજન્સી રેસ્ક્યૂ દરમિયાન થયેલી નાસભાગમાં 4 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

કેવી રીતે સર્જાઈ કટોકટીની સ્થિતિ?

રવિવારે વહેલી સવારે જ્યારે સ્વિસ એરનું વિમાન રનવે પરથી ઉડાન ભરવા માટે ગતિ પકડી રહ્યું હતું, ત્યારે અચાનક પાયલોટને વિમાનના ડાબા ભાગમાં આવેલા 'લેન્ડિંગ ગિયર' (ટાયરનો હિસ્સો) માંથી કાળો ધુમાડો નીકળતો જણાયો હતો. વિમાન હજુ હવામાં ઉડાન ભરે તે પહેલા જ જોખમ પારખીને પાયલોટે ઇમરજન્સી બ્રેક લગાવી ટેક-ઓફ રદ કર્યું હતું. વિમાન રનવે પર જ ઉભું રહી જતાં એરપોર્ટ પર તુરંત 'ફુલ ઇમરજન્સી' જાહેર કરવામાં આવી હતી.

રેસ્ક્યૂ ઓપરેશન અને મુસાફરોની સ્થિતિ

વિમાન ઉભું રહેતાની સાથે જ એરપોર્ટના TFT ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા જેથી સંભવિત આગને કાબૂમાં લઈ શકાય. વિમાનના તમામ સાત ઇમરજન્સી એક્ઝિટ ગેટ ખોલી દેવામાં આવ્યા હતા અને મુસાફરોને સ્લાઇડર (ઇમરજન્સી લપસણી) દ્વારા નીચે ઉતારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વિમાનમાં કુલ 232 લોકો સવાર હતા, જેમાંથી 227 મુસાફરોને હેમખેમ બહાર કાઢીને DIAL ના વિશેષ રિસેપ્શન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર

આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. સ્લાઇડર પરથી નીચે ઉતરતી વખતે થયેલી અફરાતફરીમાં 4 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ પૈકી 3 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર અર્થે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે એક મુસાફરને સામાન્ય ઈજા હોવાથી એરપોર્ટના જ મેડિકલ સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપી દેવામાં આવી હતી.

તપાસ અને સુરક્ષા પગલાં

આ ઘટના બાદ એરપોર્ટ પર DIAL દ્વારા 'ક્રાઇસિસ મેનેજમેન્ટ સેન્ટર' અને 'મલ્ટી એજન્સી રિસ્પોન્સ ટીમ' ને તાત્કાલિક સક્રિય કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના પાછળ ટેકનિકલ ખામી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એવિએશન રેગ્યુલેટર દ્વારા હવે આ મામલે વિગતવાર તપાસ કરવામાં આવશે કે ચાલતા વિમાનના લેન્ડિંગ ગિયરમાં ધુમાડો નીકળવાનું ચોક્કસ કારણ શું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now