Ahmedabad News: અમદાવાદની શાન ગણાતી સાબરમતી નદીને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત 'સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન'નો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. કેબિનેટ અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સ્વયં શ્રમદાન કરીને આ મહાઅભિયાનની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહીને શ્રમદાનમાં સહભાગી થયા હતા.
પ્રથમ દિવસે જ 68 ટન કચરો દૂર કરાયો
આ વિશેષ સફાઈ ઝુંબેશ આગામી 5 જૂન સુધી ચાલશે. અભિયાનના પ્રથમ દિવસે જ વરિષ્ઠ મહાનુભાવો, અધિકારીઓ અને નાગરિકોના સહિયારા પ્રયાસોથી અંદાજીત 68 ટન જેટલો કચરો નદી અને રિવરફ્રન્ટ પરિસરમાંથી દૂર કરવામાં આવ્યો હતો, જે આ અભિયાનની સફળતા દર્શાવે છે.
મેઘાણીનગરમાં ધોળા દિવસે યુવકની હત્યા : બાઇક પર આવેલા બે શખ્સોએ છરાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
"વ્યવસ્થા સરકાર ઊભી કરી શકે, પણ સ્વભાવ નાગરિકે કેળવવો પડે" : ઋષિકેશ પટેલ
આ પ્રસંગે મીડિયા અને ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છતાના આગ્રહી અને સંકલ્પબદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને અનુસરીને આજે અહીં મોટી સંખ્યામાં નાગરિકો સ્વયં સફાઈ અભિયાનમાં જોડાયા છે તે ખૂબ જ આનંદની વાત છે. સ્વચ્છતા માટેની વ્યવસ્થા સરકાર ઊભી કરી શકે પણ સ્વચ્છતા રાખવાનો સ્વભાવ તો નાગરિકે પોતે જ કેળવવો પડશે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સ્વચ્છતા સાથે આરોગ્ય સહિતની અનેક બાબતો જોડાયેલી છે, તેથી સ્વચ્છતાને માત્ર એક કાર્યક્રમ નહીં પણ આપણી રોજિંદી આદત બનાવવી જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ દેશના લોકોને સ્વચ્છતા અને વૃક્ષારોપણ જેવી પર્યાવરણીય બાબતો સાથે જોડીને એક નવો રાહ ચીંધ્યો છે. આગામી દિવસોમાં આ પ્રકારના સ્વચ્છતા કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારોથી લઈ મહાનગરો સુધી વ્યાપક સ્તરે આયોજિત કરવામાં આવશે.
જનભાગીદારીનું અદભુત ઉદાહરણ
આ મહાઅભિયાનમાં માત્ર વહીવટી તંત્ર જ નહીં, પરંતુ સમાજના દરેક વર્ગે ઉત્સાહભેર ભાગ લીધો હતો. રિવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને નાગરિકોએ પર્યાવરણની રક્ષા અને સ્વચ્છતા જાળવવા માટેના શપથ (પ્રતિજ્ઞા) લીધા હતા.
અમદાવાદના 77% વિસ્તારમાં સતત 70 dBથી વધુ નોઈસ : શું તમારો વિસ્તાર પણ સાઉન્ડ ટ્રેપમાં છે?
અભિયાનમાં કોણે-કોણે શ્રમદાન કર્યું?
શહેરના જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ
વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ NGO
કોર્પોરેટ કંપનીઓના કર્મચારીઓ અને યુવાનો
શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સ
પોલીસ કર્મચારીઓ અને કોર્પોરેશનના સફાઈ કામદારો
વરિષ્ઠ મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
આ લોકઅભિયાનના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ, શહેરના વિવિધ વિસ્તારના ધારાસભ્યઓ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન આઈ.પી. ગૌતમ તેમજ કાઉન્સિલરઓ અને વરિષ્ઠ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જાતે શ્રમદાન કરીને નાગરિકોને પ્રેરણા પૂરી પાડી હતી.





