પશ્ચિમ બંગાળને આજે નવા મુખ્યમંત્રી મળ્યા છે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે ભાજપે આજથી બંગાળનો કબજો સંભાળી લીધો છે. શુવેન્દુ અધિકારીની સાથે દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, નિસિથ પ્રામાણિક અને શંકર ઘોષે પણ મંત્રી તરીકે શપથ લીધા.
કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત 22 રાજ્યોનાં મુખ્યમંત્રી આ ક્ષણનાં સાક્ષી રહ્યાં.
બંગાળમાં આજે એક મોટું રાજકીય પરિવર્તન આવ્યું છે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. બંગાળના રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા. સુવેન્દુએ ભવાનીપુરમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા હતા. પ્રોટોકોલ મુજબ, મમતા બેનર્જીને પણ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં ભાજપે 207 બેઠકો જીતીને પ્રચંડ વિજય મેળવ્યો. આ દરમિયાન, ટીએમસી માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ, જેનાથી તેના 15 વર્ષના શાસનનો અંત આવ્યો.
સુવેન્દુ અધિકારીનો રાજકીય સફર
Suvendu Adhikari નો જન્મ 15 ડિસેમ્બર, 1970ના રોજ પૂર્વ મેદિનીપુર જિલ્લાના કાંઠી વિસ્તારમાં એક પ્રભાવશાળી રાજકીય પરિવારમાં થયો હતો. તેમના પિતા Sisirkumar Adhikari રાજ્યના જાણીતા નેતા રહ્યા છે, અને અધિકારી પરિવાર મેદિનીપુર વિસ્તારમાં લાંબા સમયથી પ્રભુત્વ ધરાવે છે.
સુવેન્દુએ 1989માં કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠનથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે સમય દરમિયાન ડાબેરી પક્ષોનું પ્રભુત્વ હતું, જેના કારણે તેમને પોતાના રાજકીય સ્થાન માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. 1995માં તેઓ કાંઠી નગરપાલિકામાં કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા અને તેમની ચૂંટણી રાજનીતિની શરૂઆત થઈ.
પછીના વર્ષોમાં તેઓ ધીમે ધીમે રાજ્યના મહત્વપૂર્ણ નેતા તરીકે ઉભરી આવ્યા. 2011માં ડાબેરી સરકારના પતનમાં તેમનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો, જે બંગાળના રાજકીય ઇતિહાસમાં એક ટર્નિંગ પોઈન્ટ ગણાય છે.
મમતા બેનર્જી સાથે સીધી ટક્કર
સુવેન્દુ અધિકારી અને Mamata Banerjee વચ્ચેની રાજકીય ટક્કર છેલ્લા કેટલાક વર્ષોમાં બંગાળની રાજનીતિનું કેન્દ્ર રહી છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી સુવેન્દુએ મમતા બેનર્જીને હરાવી હતી, જે તેમની રાજકીય કારકિર્દીનો એક મોટો મોંઘો મુકામ હતો.
આ વખતે તેમણે ભવાનીપુર બેઠક પરથી ફરી મમતા બેનર્જી સામે જીત મેળવી છે. નોંધનીય છે કે સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામ અને ભવાનીપુર બંને બેઠકો જીતતા પોતાની રાજકીય પકડ વધુ મજબૂત બનાવી છે.





