Surat Municipal Corporation Election 2026: હીરા અને કાપડ ઉદ્યોગ માટે જાણીતા સુરત શહેરના રાજકીય ભવિષ્યનો આજે ફેંસલો થવા જઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા (SMC) ની ચૂંટણી માટે થયેલા મતદાન બાદ આજે સવારથી જ મતગણતરી કેન્દ્રો પર ઉત્તેજનાનો માહોલ છે. 11 હજાર કરોડ રૂપિયાથી વધુનું જંગી બજેટ ધરાવતી આ દેશની સમૃદ્ધ મહાનગરપાલિકાનું સુકાન કોના હાથમાં જશે, તેના પર માત્ર રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર ટકેલી છે. શું ભાજપ સતત સાતમી વાર સત્તાના સિંહાસન પર બિરાજશે કે પછી આમ આદમી પાર્ટી કોઈ મોટો ઉલટફેર કરીને ચોંકાવનારી એન્ટ્રી કરશે?
સુરતનો સંગ્રામ: ભાજપ માટે ગઢ બચાવવાનો જંગ, 'આપ' માટે અસ્તિત્વની લડાઈ
સુરત મહાનગરપાલિકામાં છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું એકચક્રી શાસન રહ્યું છે. જોકે, છેલ્લા કેટલાક વર્ષોમાં બદલાયેલા રાજકીય સમીકરણોએ આ વખતે જંગને રસપ્રદ બનાવ્યો છે. ખાસ કરીને પાટીદાર બહુલ વિસ્તારોમાં ભાજપના પરંપરાગત મતોમાં ગાબડું પડે છે કે કેમ તે જોવું રહ્યું. બીજી તરફ, ગત ચૂંટણીમાં 27 બેઠકો સાથે ધમાકેદાર એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી માટે આ ચૂંટણી પોતાનો વ્યાપ વધારવાની તક છે. ભાજપના કેટલાક ગઢ ગણાતા વિસ્તારોમાં સ્થાનિક ઉમેદવારો સામેના વિરોધનો લાભ 'આપ'ને મળી શકે છે તેવી રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પાટીદાર ગઢમાં પેનલ તૂટવાની શક્યતા?
વર્ષ 2021ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાટીદાર વિસ્તારોમાં ભાજપના પાયા હચમચાવી દીધા હતા. આ વખતે પણ વરાછા, કતારગામ અને કાપોદ્રા જેવા વિસ્તારોમાં મતદારોનો મિજાજ શું રહ્યો છે તેના પર સૌની નજર છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેટલાક વોર્ડમાં ભાજપની આખેઆખી પેનલ જીતવાને બદલે મિશ્ર પરિણામો આવી શકે છે. સ્થાનિક સ્તરે એન્ટી-ઈન્કમ્બન્સી (શાસન વિરોધી લહેર) અને આમ આદમી પાર્ટીની સક્રિયતા ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે.
આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની આજે મત ગણતરી : 733 જેટલી બેઠકો થઈ બિનહરીફ
2021ના સમીકરણો અને પક્ષપલ્ટાની અસર
2021નું પરિણામ: ભાજપે 93 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે 'આપ' 27 બેઠકો સાથે મુખ્ય વિપક્ષ બન્યો હતો.
પક્ષપલ્ટો: છેલ્લા પાંચ વર્ષમાં 'આપ'ના 12 કોર્પોરેટરો કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.
ભાજપની રણનીતિ: નોંધનીય છે કે, પક્ષપલ્ટો કરીને આવેલા એકપણ પૂર્વ કોર્પોરેટરને ભાજપે આ વખતે ટિકિટ આપી નથી, જે પક્ષની શિસ્ત અને રણનીતિ સૂચવે છે.
'આપ'નો દાવો: 40 બેઠકો પર વિજયનો વિશ્વાસ
ભલે આમ આદમી પાર્ટી આ વખતે તમામ 120 બેઠકો પર સમાન રીતે મજબૂત ન દેખાઈ હોય, પરંતુ પાર્ટીના નેતાઓ 40 જેટલી બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોના મતે, 'આપ'નો પ્રભાવ અંદાજે 20થી 22 બેઠકો પર મજબૂત દેખાઈ રહ્યો છે. જો આ બેઠકો પર 'આપ' સફળ થાય છે, તો ભાજપ માટે સત્તા જાળવી રાખવી પડકારજનક નહીં હોય પરંતુ વિપક્ષ વધુ મજબૂત બનશે.
મતદાનના આંકડા શું સૂચવે છે?
સુરત મનપાની આ ચૂંટણીમાં કુલ 59.21% મતદાન નોંધાયું છે. કુલ 14,66,260 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે ઊંચું મતદાન પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે, જ્યારે સ્થિર મતદાન સત્તાધારી પક્ષ માટે રાહતના સમાચાર ગણાય છે. જોકે, સુરતના કિસ્સામાં આ ટકાવારી કોને ફળશે તે ગણતરીના કલાકોમાં સ્પષ્ટ થઈ જશે.





