Surat news: સુરતમાં માનવતાને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વરાછા વિસ્તારમાં ડૉક્ટરની ડિગ્રી વગર જ ગેરકાયદે ગર્ભપાતનું મસમોટું નેટવર્ક ચલાવતા ફરાર ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલને આખરે સુરત પોલીસે આંજણા ફાર્મ પાસેથી દબોચી લીધો છે. આરોપી 'મમતા હોસ્પિટલ'ના ઓઠા હેઠળ માસૂમ દીકરીઓને ગર્ભમાં જ ખતમ કરવાનો કાળો કારોબાર ચલાવતો હતો.
6 મહિના પહેલાં જેલમાં ગયો, છૂટીને ફરી 'મોતની હાટડી' ખોલી નાખી
આરોપી રામગોપાલ ખંડેલવાલની ગુનાહિત માનસિકતા એટલી હદે વકરેલી છે કે તેને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. નવેમ્બર 2025માં પણ તે 'શિવાય હોસ્પિટલ'ના નામે ગેરકાયદે ગર્ભપાત કરતા પકડાયો હતો. જેલમાંથી છૂટ્યાના માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં તેણે એ જ જૂના સ્થળે 'મમતા હોસ્પિટલ'નું નવું બોર્ડ લગાવી દીધું અને ફરી પાપની હાટડી શરૂ કરી દીધી. ગર્ભ પરીક્ષણ માટે ₹10,000 (ઘરે જઈને સુવિધા) અને અસુરક્ષિત ગર્ભપાત માટે ₹15,000 રૂપિયા લેવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે.
આંતરરાજ્ય નેટવર્ક: મહારાષ્ટ્ર-રાજસ્થાન સુધી છેડા
રામગોપાલના આ કાળા કારનામાની ખ્યાતિ સુરત પૂરતી મર્યાદિત નહોતી. મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યોમાંથી પણ સગર્ભાઓ અહીં ગર્ભપાત કરાવવા આવતી હતી. આશ્ચર્યની વાત એ છે કે જે નેટવર્કની જાણ બહારના રાજ્યોના લોકોને હતી, તેનાથી સ્થાનિક આરોગ્ય વિભાગ તદ્દન અજાણ હોવાનો ડોળ કરી રહ્યો છે.
આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા અને CDHO સામે સવાલ
સુરત જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. અનિલ પટેલની કાર્યપદ્ધતિ સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શું આરોગ્ય વિભાગના નાક નીચે ચાલતા આ ગોરખધંધામાં કોઈ 'મિલીભગત' છે? એકવાર ગુનામાં પકડાયેલા ફાર્માસિસ્ટનું લાયસન્સ રદ કરવામાં વિલંબ કેમ કરવામાં આવ્યો? શંકાસ્પદ સોનોગ્રાફી સેન્ટરો અને હોસ્પિટલો પર નિયમિત તપાસ કેમ કરવામાં આવતી નથી? નિષ્ણાતોનું માનવું છે કે જો નિષ્પક્ષ તપાસ થાય તો આરોગ્ય વિભાગની મોટી લાલિયાવાડી બહાર આવી શકે તેમ છે.
પોલીસ હવે 'કુંડળી' ખંગાળશે
તાજેતરમાં 'મમતા મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલ'માં પડેલા દરોડા દરમિયાન પોર્ટેબલ મશીન દ્વારા ગેરકાયદે ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ થયો હતો. પોલીસ હવે રામગોપાલના રિમાન્ડ મેળવી એ જાણવા પ્રયાસ કરશે કે આ નેટવર્કમાં બીજા કયા 'મોટા માથાઓ' કે એજન્ટો સામેલ છે. ડૉક્ટર ન હોવા છતાં આટલી હિંમત પાછળ કોનો હાથ છે, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
સમાજ માટે ચેતવણી
પુત્ર-પુત્રીના ભેદભાવમાં માસૂમ જીવ લેતા આવા 'લેભાગુ તબીબો' માત્ર ગુનેગાર નથી, પણ સમાજ માટે કલંક છે.




