સુરત: શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે સુરત મહાનગરપાલિકા તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવ્યું છે. મેયર માયાબેન માવાણી, સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ અને કોર્પોરેટરોએ ઉધના વિસ્તારના પ્રમુખ પાર્ક, અઠવા ઝોન તેમજ આઝાદનગર-રસુલાબાદના નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન જનપ્રતિનિધિઓએ સંબંધિત અધિકારીઓને વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા તેમજ જરૂર જણાય ત્યાં નાગરિકોને ઝડપથી શેલ્ટર હોમમાં સ્થળાંતર કરવાની સૂચના આપી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ અને ડ્રેનેજ વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનરે પણ પરિસ્થિતિની કરી સમીક્ષા
મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને ઉધના-સચિન મેઈન રોડ, ભેદવાડ ખાડી, પ્રમુખ પાર્ક, ચોસઠ જોગણી માતા મંદિર વિસ્તાર, ભીમરાડ મેટ્રો સ્ટેશન રોડ તેમજ ખાટુશ્યામ મંદિર રોડ સહિતના વિસ્તારોની મુલાકાત લઈને વરસાદી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની તૈયારીઓનું સ્થળ પર જ નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
અધિકારીઓને ફિલ્ડમાં સતત હાજર રહેવા તાકીદ
મ્યુનિસિપલ કમિશનરે મનપાના તમામ અધિકારીઓને ફિલ્ડમાં સતત હાજર રહી વરસાદી પરિસ્થિતિ પર નજર રાખવા અને કોઈપણ કટોકટી સર્જાય તો તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી છે. સાથે જ, પાણી ભરાયેલા વિસ્તારોમાં ઝડપી નિકાલ, નાગરિકોની સુરક્ષા અને જરૂરી સેવાઓમાં કોઈ વિક્ષેપ ન આવે તેની પણ ખાસ તકેદારી રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
વરસાદી પરિસ્થિતિ પર સતત નજર
મનપા તંત્ર દ્વારા શહેરના નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પમ્પિંગ સ્ટેશન, ડ્રેનેજ સિસ્ટમ અને ઇમરજન્સી ટીમોને પણ એલર્ટ રાખવામાં આવી છે જેથી ભારે વરસાદની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. તંત્રએ નાગરિકોને પણ સાવચેત રહેવા અને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવાની અપીલ કરી છે.
કંટ્રોલ રૂમ અને ઇમરજન્સી ટીમોને રાખવામાં આવી સતર્ક
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત મનપાના કંટ્રોલ રૂમને 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યો છે. કોઈપણ વિસ્તારથી પાણી ભરાવા, વૃક્ષ ધરાશાયી થવા અથવા અન્ય ઇમરજન્સી અંગેની માહિતી મળતાની સાથે જ સંબંધિત ટીમોને તાત્કાલિક સ્થળ પર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ ઝોનના અધિકારીઓને સતત સંકલન જાળવવા સૂચના આપવામાં આવી છે.
પાણીના ઝડપી નિકાલ માટે મશીનરી સજ્જ
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે પમ્પિંગ સ્ટેશનો, ડી-વોટરિંગ પંપ અને અન્ય જરૂરી મશીનરીને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જ્યાં પાણી ભરાવાની વધુ શક્યતા છે તેવા વિસ્તારોમાં વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે.
આ પણ વાંચો: વિસાવદરના જાંબુડીમાં દીપડાનો સતત આતંક : ઘરમા ઘુસી વૃદ્ધા પર જીવલેણ હુમલો કર્યો, વનવિભાગે દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી
નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
મનપા તંત્રે નાગરિકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે સાવચેતી રાખવા અને કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મનપાના કંટ્રોલ રૂમ અથવા સંબંધિત વિભાગનો સંપર્ક કરવા અપીલ કરી છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સતત મોનિટરિંગ અને જરૂરી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.






