Surat News: સુરતમાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ફરીથી પૂર્વવત બને તે માટે ગુજરાત સરકારે યુદ્ધના ધોરણે રાહત અને પુનઃસ્થાપન કામગીરી શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વિવિધ વિભાગોને એકસાથે જોડીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પૂરના પાણી ઓસર્યા બાદ હવે સૌથી મોટો પડકાર નાગરિકોને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો અને વેપાર-ધંધા ફરી શરૂ કરાવવાનો છે. આ સમગ્ર કામગીરીની સમીક્ષા કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત જિલ્લાના સંકલન અધિકારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને જિલ્લા પ્રશાસન સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં રાહત કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી અને વિવિધ વિભાગોને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી કે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

પાણીના નિકાલથી લઈને આરોગ્ય સુધી દરેક બાબત પર ખાસ ધ્યાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ કરીને ત્રણ મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમાં ભરાયેલા પાણીનો ઝડપી નિકાલ, યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા મુખ્ય મુદ્દા રહ્યા હતા. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે પૂરના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ બાદ રોગચાળો ફેલાય નહીં તે માટે દરેક વિભાગે સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરવી જરૂરી છે. સુરત મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગને અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત ફોગિંગ, જંતુનાશક દવાનો છંટકાવ, પીવાના પાણીની ગુણવત્તાની તપાસ અને આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવા પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ ગટરો અને રસ્તાઓ પર ભરાયેલા કાદવને ઝડપથી દૂર કરીને સામાન્ય જનજીવનને ગતિ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
48થી 72 કલાકમાં જનજીવન સામાન્ય બનાવવાનો લક્ષ્યાંક
સરકારે આગામી 48થી 72 કલાકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં વેપાર, રોજગાર અને દૈનિક જીવનને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. પૂરના કારણે દુકાનો, બજારો અને રહેણાંક વિસ્તારોને થયેલા નુકસાન બાદ વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ઝડપથી રાહત મળે તે માટે તંત્ર સતત મેદાનમાં કાર્યરત છે. હર્ષ સંઘવીએ અધિકારીઓને જણાવ્યું હતું કે દરેક અસરગ્રસ્ત વિસ્તાર સુધી સરકારી ટીમ પહોંચવી જોઈએ અને લોકોને સહાય માટે કોઈ પણ પ્રકારની રાહ જોવી ન પડે. જરૂરી તમામ વિભાગો વચ્ચે સંકલન કરીને ઝડપી નિર્ણય લેવાની પણ સૂચના આપવામાં આવી છે.

9,100થી વધુ પરિવારોનો ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ
પૂરની અસરનું વાસ્તવિક મૂલ્યાંકન કરવા માટે પ્રશાસન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં અંદાજે 9,100થી વધુ પરિવારોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સર્વેના આધારે 800થી વધુ અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકારના નિયમો મુજબ રૂ. 6,800 લેખે ઘરવખરી અને કેશડોલ સહાય સીધી પહોંચાડી દેવામાં આવી છે. સરકારનો દાવો છે કે બાકીના તમામ પાત્ર પરિવારોને પણ ઝડપથી સહાય મળી રહે તે માટે અલગ-અલગ ટીમો સતત કાર્યરત છે.

વેપારીઓને પણ મળશે રાહત
પૂરના કારણે શહેરના અનેક બજારો અને કોમર્શિયલ વિસ્તારોમાં વેપારીઓને પણ ભારે નુકસાન થયું છે. સરકાર દ્વારા 58 જેટલા નાના-મોટા વિસ્તારોમાં દુકાનો અને વ્યવસાયોને થયેલા નુકસાનનો અલગથી સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વે પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજીને વેપારીઓ માટે આર્થિક સહાય અંગે નિર્ણય લેવામાં આવશે. સરકાર પહેલેથી જ જરૂરી માહિતી એકત્રિત કરી રહી છે જેથી સહાયની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકે.
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી બદલાશે હવામાન : જાણો આગામી 2 દિવસ તમારા જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ
હેલ્પલાઈન અને વિશેષ અધિકારીની વ્યવસ્થા
પ્રશાસનના જણાવ્યા મુજબ, જો કોઈ વિસ્તાર અથવા સોસાયટી ટેકનિકલ કારણોસર સર્વેમાંથી રહી ગઈ હોય તો તેવા લોકો માટે કલેક્ટર કચેરી ખાતે વિશેષ ઇન્ચાર્જ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ હેલ્પલાઈન નંબર પણ કાર્યરત કરવામાં આવ્યો છે. નાગરિકો તરફથી માહિતી મળતા જ સંબંધિત વિસ્તારમાં તાત્કાલિક ટીમ મોકલીને સર્વે પૂર્ણ કરવામાં આવશે અને યોગ્ય પાત્રતા મુજબ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સમગ્ર તંત્ર મેદાનમાં, સુરતને ઝડપથી ઉભું કરવાનું લક્ષ્ય
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર સરકારી તંત્ર, જિલ્લા પ્રશાસન, સુરત મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ અને અન્ય તમામ એજન્સીઓ સંકલન સાથે દિવસ-રાત કામગીરી કરી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો, પીવાનું પાણી, માર્ગ વ્યવસ્થા અને સફાઈ કામગીરીને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુરતની પ્રજા અને સરકારના સંયુક્ત પ્રયાસોથી શહેર ખૂબ જ ટૂંકા સમયમાં ફરી સામાન્ય સ્થિતિમાં આવશે. તેમણે જણાવ્યું કે સુરત દેશના મહત્વના ઔદ્યોગિક અને વેપારી શહેરોમાંનું એક છે અને સરકારની પ્રાથમિકતા શહેરને શક્ય તેટલી ઝડપથી ફરી ધમધમતું બનાવવાની છે.સરકારના દાવા મુજબ રાહત, પુનઃસ્થાપન અને સહાયની કામગીરી સતત ચાલુ છે અને આગામી દિવસોમાં અસરગ્રસ્ત તમામ પરિવારો તથા વેપારીઓ સુધી જરૂરી સહાય પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.





