વાલીઓની સંમતિ અને ડેટા સુરક્ષા અંગેની ચિંતાઓ પર CBSE કરશે વિચાર
સુપ્રીમ કોર્ટે APAAR ID યોજના સંબંધિત મહત્વનો નિર્ણય આપતાં કહ્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ઓડિશા હાઈકોર્ટના નિર્દેશોને દેશભરમાં અમલમાં મૂકે. સાથે જ કોર્ટે CBSEને વાલીઓની સંમતિ અને વિદ્યાર્થીઓના ડેટાની સુરક્ષા અંગે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓની પણ તપાસ કરવા કહ્યું છે.
APAAR ID શું છે?
APAAR (Automated Permanent Academic Account Registry) યોજના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક વિદ્યાર્થીને એક અનોખો 12 અંકનો ઓળખ નંબર આપવામાં આવે છે, જેમાં માર્કશીટ, પ્રમાણપત્ર અને અન્ય શૈક્ષણિક માહિતી ડિજિટલ રીતે સંગ્રહિત થાય છે.
શું છે સમગ્ર મામલો?
ચાર વિદ્યાર્થીઓના વાલીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને APAAR ID યોજાને પડકાર્યો છે. અરજીમાં દલીલ કરવામાં આવી છે કે યોજના સ્વૈચ્છિક હોવાનું કહેવાય છે, પરંતુ આધાર સાથે જોડાણ હોવાથી વિદ્યાર્થીઓ પર પરોક્ષ રીતે દબાણ થાય છે. અરજીમાં ગોપનીયતા અને બંધારણીય અધિકારોના ભંગની પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું કે કેન્દ્ર સરકારે ઓડિશા હાઈકોર્ટના ડિસેમ્બર 2025ના નિર્ણયને પડકાર્યો નથી. તેથી તે નિર્ણયમાં આપવામાં આવેલા નિર્દેશો દેશભરમાં લાગુ થવા જોઈએ. કોર્ટે કહ્યું કે CBSE વાલીઓની સંમતિ અને ડેટા સુરક્ષા સંબંધિત મુદ્દાઓની પણ તપાસ કરશે.
વાલીઓએ શું વાંધા ઉઠાવ્યા?
અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે હાલના સંમતિ ફોર્મમાં વાલીઓને યોજના ન સ્વીકારવાનો સ્પષ્ટ વિકલ્પ મળતો નથી. ઉપરાંત, વ્યક્તિગત માહિતીના ઉપયોગ, સંમતિ પાછી ખેંચવાનો અધિકાર અને બાળકોના ડેટાના લાંબા ગાળાના સંગ્રહ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા.
કોર્ટનું APAAR યોજના અંગે શું કહેવું છે?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે APAAR IDનો હેતુ દરેક વિદ્યાર્થી માટે એક શૈક્ષણિક ઓળખ બનાવવાનો છે, જેથી શૈક્ષણિક રેકોર્ડનું યોગ્ય સંચાલન થઈ શકે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે CBSEના તમામ નિયમો અને પરિપત્રો ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) Act, 2023 મુજબ જ હોવા જોઈએ.
ઓડિશા હાઈકોર્ટે શું કહ્યું હતું?
ઓડિશા હાઈકોર્ટે ડિસેમ્બર 2025માં કેન્દ્ર સરકારને APAAR IDના સંમતિ ફોર્મમાં ફેરફાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે વાલીઓને સંમતિ આપવાનો તેમજ સંમતિ ન આપવાનો અથવા યોજના છોડવાનો સ્પષ્ટ વિકલ્પ મળવો જોઈએ. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે શિક્ષણને આધાર સાથે ફરજિયાત રીતે જોડવું યોગ્ય નથી.





